ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી રહી છે. હાલમાં ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર જ બાકી છે, જ્યારે ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે.
રાજ્યભરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં મેઘમહેર નોંધાઈ હતી, જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં તાપી જિલ્લાના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ નોંધાયો.
ડેમમાં છેલ્લા 24 કલાકમાં સપાટી 24 સે.મી. વધતાં 1,67,113 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે કેનાલમાં પાણીની જાવક 23,501 ક્યુસેક છે. ડેમનું ગ્રોસ સ્ટોરેજ 8,850.40 MCM છે. સપાટી વધતા તંત્ર દ્વારા 15 દરવાજા ખોલી નર્મદા નદીમાં 2.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે RBPH અને CHPHમાંથી કેનાલમાં કુલ 2,24,000 ક્યુસેક પાણી છોડાયું છે.
નદીમાં પાણી છોડાયના કારણે નર્મદા નદી કાંઠાના ગ્રામજનોને ઍલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી વોર્નિંગ લેવલ પર પહોંચી શકે છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

Leave a Reply