ભારતમાં હાઈ સ્પીડ રેલ નેટવર્કનો વિસ્તાર ઝડપથી થઈ રહ્યો છે. તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી છે કે દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સર્વેનો આદેશ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હૈદરાબાદ, ચેન્નઈ, અમરાવતી અને બેંગલુરુ જેવા ચાર મોટા શહેરોને જોડશે.
નાયડુએ જણાવ્યું હતું કે, “જલ્દી જ દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેન સેવા શરૂ થશે. આ માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. હૈદરાબાદ, ચેન્નઈ, અમરાવતી અને બેંગલુરુ – આ ચાર શહેરોની સંયુક્ત વસ્તી પાંચ કરોડથી વધુ છે અને આ વિશ્વનું સૌથી મોટું બજાર બની શકે છે.”
તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની રાજધાની ટોક્યોથી સેંદાઇ સુધી બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેમની સાથે જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા પણ હાજર રહ્યા હતા.
ટોક્યોના જાપાની દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ જણાવ્યું કે, “ભારતે દેશભરમાં 7,000 કિલોમીટર લાંબું હાઈ સ્પીડ રેલ નેટવર્ક વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ હાલમાં પ્રગતિમાં છે. અમે તેનાથી પણ મોટું સ્વપ્ન જોયું છે – દેશભરમાં હાઈ સ્પીડ રેલ નેટવર્ક બનાવવાનું.”
રાષ્ટ્રીય રેલ યોજનામાં પહેલાથી જ અનેક સંભવિત હાઈ સ્પીડ રેલ કોરિડોરનો ઉલ્લેખ થયો છે, જેમાં દિલ્હી-વારાણસી, દિલ્હી-અમદાવાદ, મુંબઈ-નાગપુર, મુંબઈ-હૈદરાબાદ, ચેન્નઈ-મૈસૂર, દિલ્હી-અમૃતસર અને વારાણસી-હાવડા જેવા રૂટનો સમાવેશ થાય છે.

Leave a Reply