ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: ધૌલીગંગા વીજળી પ્રોજેક્ટની ટનલમાં 19 કર્મચારી ભૂસ્ખલન બાદ ફસાયા

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: ધૌલીગંગા વીજળી પ્રોજેક્ટની ટનલમાં 19 કર્મચારી ભૂસ્ખલન બાદ ફસાયા

ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં મોટી દુર્ઘટના બની છે, જ્યાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું અને ધૌલીગંગા વીજળી પ્રોજેક્ટની ટનલમાં એનએચપીસીના 19 કર્મચારીઓ ફસાઈ ગયા છે. ભૂસ્ખલનથી પાવર હાઉસ તરફ જતો મુખ્ય માર્ગ અવરોધિત થયો છે.

ધારચૂલાના નાયબ જિલ્લા અધિકારી જિતેન્દ્ર વર્માના જણાવ્યા મુજબ, ભૂસ્ખલન પછી ટનલની આસપાસ ભારે કાટમાળ પડ્યો છે, જેના કારણે કર્મચારીઓને બહાર લાવવું મુશ્કેલ બન્યું છે. હાલ મોટી મશીનોની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે, જેથી માર્ગ ખુલતા જ ફસાયેલા કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.

અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે ટનલમાં નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશનના કર્મચારીઓ ફસાયા છે. ધારચૂલાની પાસે ઈલાગઢ વિસ્તારમાં પ્રોજેક્ટની સામાન્ય અને ઈમરજન્સી સુરંગો તરફ જતો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો છે. જેસીબી મશીનોથી કાટમાળ દૂર કરવાની કામગીરી સતત ચાલી રહી છે.

જિતેન્દ્ર વર્માએ ખાતરી આપી કે તમામ કર્મચારીઓ હાલ સુરક્ષિત છે અને ખાણીપીણીની સુવિધા પણ ઉપલબ્ધ છે. પિથૌરાગઢ પોલીસ અધિક્ષક રેખા યાદવે જણાવ્યું કે ટનલના મુખ્ય રસ્તે મોટા પથ્થરો પડ્યા હોવાથી અવરોધ થયો છે, પરંતુ તંત્ર સતત કામગીરીમાં લાગેલું છે. આશા છે કે વહેલી તકે માર્ગ ખુલશે અને તમામ કર્મચારીઓ સલામત બહાર આવશે.

 

Leave a Reply

Your email address will not be published.