IND vs WI Test Series: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ કમનસીબીનો શિકાર બન્યો છે. શાનદાર બેટિંગ કરી રહેલા યશસ્વી જયસ્વાલનું બેવડી સદી ફટકારવાનું સપનું શુભમન ગિલ સાથેની ગેરસમજને કારણે અધૂરું રહ્યું અને તે 173 રને રન-આઉટ થયો.
યશસ્વી જયસ્વાલ કેવી રીતે રન-આઉટ થયો? ઘટના
આ રન-આઉટ બીજા દિવસની રમતની શરૂઆતમાં જ થયો હતો. જયસ્વાલે મિડ-ઓફ તરફ એક શાનદાર ડ્રાઇવ રમી અને તાત્કાલિક રન લેવા માટે દોટ મૂકી. તે ક્રિઝની લગભગ અડધે સુધી આગળ વધ્યો, ત્યારે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભેલા કેપ્ટન શુભમન ગિલે તેને રોકવાનો સંકેત આપ્યો. યશસ્વી જયસ્વાલે પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ફિલ્ડરના હાથમાં બોલ આવી ગયો હતો. થોડી જ વારમાં થ્રો આવ્યો અને બેલ્સ ઉડી ગયા. તે આઉટ થતાં તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેદાન છોડતી વખતે બંને ખેલાડીઓ વચ્ચે થોડી દલીલ થઈ હોઈ તેવી સ્થિતિ થઈ હતી, જે કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: શુભમન ગિલે ટેસ્ટમાં 10મી સદી ફટકારી ઇતિહાસ સર્જ્યો, કોહલી-શર્માના રૅકોર્ડ તોડ્યા
બેવડી સદીનું સપનું રોળાયું
ટેસ્ટ મેચના પહેલા દિવસે જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને આખો દિવસ પીચ પર રહ્યો. તેણે 253 બોલમાં 22 ચોગ્ગા સહિત અણનમ 173 રન બનાવ્યા. તેણે શરૂઆતના સંયમ અને સંતુલન બતાવ્યું, અને જેમ જેમ બોલ જૂનો થતો ગયો તેમ તેમ તેણે પોતાનો સ્ટ્રાઇક રેટ વધાર્યો. 82 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી, તેણે માત્ર 63 બોલમાં પોતાની આગામી અડધી સદી ફટકારી. 150 રનનો આંકડો પાર કર્યા પછી, તે બીજી બેવડી સદી માટે તૈયાર લાગતો હતો, પરંતુ બીજા દિવસે નસીબે સાથ ના આપ્યો.

Leave a Reply