અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોમાં ફરી તણાવ સર્જાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફ લાદવાનો આદેશ સાઇન કર્યો છે, જેના કારણે કુલ ટેરિફ દર 50% સુધી પહોંચી ગયો છે. આ નિર્ણયથી ભારતના નિકાસકારો પર આર્થિક દબાણ વધશે, જ્યારે રાજકીય મોરચે વિપક્ષે મોદી સરકારને ઘેરી લીધી છે.

કોંગ્રેસનો આક્ષેપ: “મોદી સરકાર મૌન કેમ?”
કોંગ્રેસે આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કટઘરામાં ઉભા કર્યા છે. પાર્ટીના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું, “મોદીજીના મિત્ર ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદ્યો છે અને પીએમ મોદી તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં આવવી શરમજનક છે. ભારત વિરોધી આ નિર્ણય સામે સરકારે મૌન સેવી રાખ્યું છે.”
કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે, ટ્રમ્પ સતત ભારત વિરુદ્ધ આક્રમક પગલાં લઈ રહ્યા છે, પરંતુ મોદી સરકાર તેની સામે મજબૂત જવાબ આપવા નિષ્ફળ સાબિત થઈ રહી છે.

શશિ થરૂરની ચિંતા: નિકાસ માટે મોટો પડકાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ ટ્રમ્પના પગલાંને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “ભારતીય ઉત્પાદકો માટે અમેરિકી બજારમાં સ્પર્ધા કરવી હવે મુશ્કેલ બનશે. વિયેતનામ, બાંગ્લાદેશ અને ફિલિપાઈન્સ જેવા દેશોના ઉત્પાદનોને વધુ તાકાત મળશે.”
થરૂરે આગાહી કરી કે, વધેલા ટેરિફને કારણે ભારતની નિકાસ અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડશે અને અમેરિકી બજારમાં ભારતીય માલ માટે માંગ ઘટી શકે છે.
ટેરિફ પાછળનું કારણ: રશિયન તેલ ખરીદી
અમેરિકાના આ વધારાના ટેરિફ પાછળનું મુખ્ય કારણ ભારત દ્વારા રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની ખરીદી હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ભારત રશિયાને આડકતરી સહાય કરી રહ્યું છે અને ઓછી કિંમતે તેલ ખરીદી વૈશ્વિક બજારમાં વેચી નફો કમાઈ રહ્યું છે.
ભારતે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેની ઊર્જા નીતિ બજાર પરિબળો અને 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આધારિત છે.

Leave a Reply