અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠક પર આખા વિશ્વની નજર છે. જોકે, આ બેઠકને લઈને અમેરિકા દ્વારા ભારતને ટેરિફ અંગે નવી ધમકી આપવામાં આવી છે. અમેરિકન નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે ચેતવણી આપી છે કે, જો ટ્રમ્પ-પુતિન વચ્ચેની ચર્ચા નિષ્ફળ રહેશે તો અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લગાવશે.
સ્કૉટ બેસન્ટે સ્પષ્ટ કર્યું કે, બેઠકના પરિણામો પર આધાર રાખીને ભારત પર પહેલેથી લાગેલા સેકન્ડરી ટેરિફમાં વધારો થઈ શકે છે. તેમણે યાદ અપાવ્યું કે, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર પહેલેથી જ સેકન્ડરી ટેરિફ લાગુ છે. તાજેતરમાં ટ્રમ્પે પણ ભારત પર હાલના 25% ટેરિફ ઉપરાંત 25% વધારાનો દંડ જાહેર કર્યો છે, જે 27 ઑગસ્ટથી અમલમાં આવશે.
ટ્રમ્પે ભારત પર આરોપ મૂક્યો છે કે, ભારત રશિયાથી સસ્તું તેલ ખરીદીને ગ્લોબલ માર્કેટમાં ઊંચા ભાવે વેચે છે અને નફો કમાય છે. સાથે જ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ભારત રશિયાની સાથેના વેપારથી યુક્રેન યુદ્ધમાં ફંડિંગ કરી રહ્યું છે. જોકે, ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે, આ પગલું ગ્લોબલ માર્કેટમાં સ્થિરતા જાળવવા માટે હતું અને તે સમયે અમેરિકા પોતે આ માટે પ્રોત્સાહિત કરી રહ્યું હતું.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત માટે રશિયાથી તેલ ખરીદવું વિકલ્પ નહીં પરંતુ મજબૂરી છે, જેથી ભારતીય ગ્રાહકોને સસ્તી અને સ્થિર ઊર્જા મળી રહે. મંત્રાલયે એ પણ ઉમેર્યું કે, જે દેશો ભારતની ટીકા કરે છે તેઓ પોતે જ રશિયા સાથે વેપાર ચાલુ રાખે છે.
અલાસ્કામાં યોજાનારી ટ્રમ્પ-પુતિનની બેઠક રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો બેઠક સફળ રહેશે, તો ટ્રમ્પ બીજી બેઠક બોલાવવાની સંભાવના દર્શાવી રહ્યા છે, જેમાં યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી પણ હાજર રહેશે. જોકે, પુતિન ઝેલેન્સ્કી સાથે વાતચીત કરવા તૈયાર નથી.

Leave a Reply