જેલમાં રહેલા કેદીઓના બાળકો માટે “વિકાસદીપ” યોજના, ઇનામો અને ખાસ સુવિધાઓની જાહેરાત

જેલમાં રહેલા કેદીઓના બાળકો માટે “વિકાસદીપ” યોજના, ઇનામો અને ખાસ સુવિધાઓની જાહેરાત

ગાંધીનગર: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના અવસર પર ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ જેલ ડીજીપી કે.એલ.એન. રાવે “વિકાસદીપ” યોજના જાહેર કરી છે. આ યોજનાથી કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા રોકડ ઇનામો અને પુરસ્કારો આપવામાં આવશે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરનાર વિદ્યાર્થીઓને ત્રણ સ્તરે ઇનામો આપવામાં આવશે – પ્રિલિમિનરી પાસ કરવા પર ₹5,001 અને પ્રમાણપત્ર, મેઇન્સ પાસ કરવા પર ₹10,001 અને પ્રમાણપત્ર, અને અંતિમ પસંદગી તથા નિમણુંક પર ₹15,001 સાથે મોમેન્ટો અને પ્રમાણપત્ર.

રમતગમત ક્ષેત્રે રાજ્ય સ્તરે ગોલ્ડ મેડલ જીતનારને ₹7,001, સિલ્વર માટે ₹5,001 અને બ્રોન્ઝ માટે ₹3,001 સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે વિજેતાઓને ગોલ્ડ માટે ₹15,001, સિલ્વર માટે ₹10,001 અને બ્રોન્ઝ માટે ₹7,001 આપવામાં આવશે. જેલ અધિકારીઓના બાળકોને પણ આ લાભ મળશે.

ઉપરાંત, 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ અને બીમાર કેદીઓ માટે ખાસ સુવિધાઓ આપવામાં આવશે, જેમાં અલગ બેરેક, કેરટેકર, સ્પેશિયલ રેમ્પ, તબીબી ચકાસણી, પોષણયુક્ત આહાર, કાઉન્સેલિંગ સુવિધા અને કાયદેસર મદદનો સમાવેશ છે.

આ યોજનાઓ કેદીઓ અને તેમના પરિવારના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે નવા માર્ગ ખોલશે.

 

Leave a Reply

Your email address will not be published.