મુંબઈ એરપોર્ટ પર શનિવારે મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે ઈન્ડિગોની એક ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન રનવે સાથે અથડાઈ ગઈ હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. અહેવાલ મુજબ, બેંગકોકથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટ નંબર 6E 1060, જે એરબસ A321 નિયો દ્વારા સંચાલિત હતી, સવારે 3:06 વાગ્યે રનવે 27 પર લેન્ડિંગ કરતી વખતે ઓછી ઊંચાઈએ ગો-અરાઉન્ડ કરતા તેના પાછળના ભાગે રનવેને સ્પર્શ કર્યો હતો.
પ્રારંભિક તપાસમાં મનાય છે કે આ ઘટના ખરાબ હવામાનના કારણે બની હતી. સદભાગ્યે, મુસાફરો કે ક્રૂ સભ્યોને કોઈ ઇજા થઈ નથી. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું કે વિમાનનું સુરક્ષિત રીતે ફરી લેન્ડિંગ કરાયું અને માનક પ્રક્રિયા મુજબ તેની તપાસ બાદ જ તેને ફરી ઉડાન ભરવાની મંજૂરી મળશે.
પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, “ગ્રાહકો, ક્રૂ અને વિમાનની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે ઘટનાથી થતી કોઈપણ અસરોને ઓછું કરવા માટે તમામ પગલાં લઈ રહ્યા છીએ.”
એક અધિકારીએ જણાવ્યું કે વિમાન હાલ ગ્રાઉન્ડેડ છે અને DGCA ને જાણ કરવામાં આવી છે, પરંતુ એરલાઇન કે ક્રૂએ ATC (એર ટ્રાફિક કંટ્રોલ) ને તરત માહિતી આપી ન હતી.

Leave a Reply