અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે 6.30 વાગ્યે મહત્વપૂર્ણ બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં આર્થિક સલાહકાર પરિષદ સાથે ભારતીય અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમન સહિત સાત કેન્દ્રીય મંત્રીઓ આ બેઠકમાં હાજરી આપશે. બેઠક વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને યોજાશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. બાદમાં, ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું હોવાને કારણે 27 ઑગસ્ટથી વધુ 25 ટકા ટેરિફ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ કુલ 50 ટકા ટેરિફ લાગુ થવાથી ભારતીય નિકાસ પર 40 અબજ અમેરિકન ડૉલરની અસર થવાની સંભાવના છે.
આ પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ ટોચના સ્તરે ચર્ચા યોજવાનો નિર્ણય કર્યો છે. સાથે જ, ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે અને તેઓ NSA અજીત ડોભાલ સાથે બેઠક કરશે. આ બેઠકમાં સરહદી શાંતિ માટે ચર્ચા થવાની શક્યતા છે.
બીજી તરફ, અમેરિકા સાથે યોજાનારી દ્વિપક્ષીય વેપાર ચર્ચાનો છઠ્ઠો રાઉન્ડ રદ કરવામાં આવ્યો છે. અગાઉ પાંચ રાઉન્ડની ચર્ચા થઈ ગઈ હતી, પરંતુ હવે આગામી બેઠક મુલતવી રાખવામાં આવી છે, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે.

Leave a Reply