શુભાંશુ શુક્લાએ PM મોદી સાથે મુલાકાત કરી, અંતરિક્ષથી ખેંચેલી ધરતીની તસવીર આપી ભેટ

શુભાંશુ શુક્લાએ PM મોદી સાથે મુલાકાત કરી, અંતરિક્ષથી ખેંચેલી ધરતીની તસવીર આપી ભેટ

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, જેમણે તાજેતરમાં અંતરિક્ષમાંથી ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો, આજે (18 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન શુભાંશુએ પીએમ મોદીને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પરથી ખેંચેલી ધરતીની સુંદર તસવીરો ભેટ આપી.

શુભાંશુ શુક્લા શનિવારે (16 ઓગસ્ટે) નાસાના Axiom-4 મિશન પૂર્ણ કરીને ભારત પરત ફર્યા હતા. તેમની વાપસી પર દિલ્હીના IGI એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય સાયન્સ અને ટેક્નોલોજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. તેમના પત્ની કામના શુક્લા અને પુત્ર પણ આ ક્ષણે સાથે હતા.

આ મિશન શુભાંશુ માટે ઐતિહાસિક રહ્યું, કારણ કે તેઓ અંતરિક્ષમાં પહોંચનારા ભારતના બીજા નાગરિક બન્યા છે. તેમના પહેલાં, 1984માં વિંગ કમાન્ડર રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયા હતા. શુભાંશુનું મિશન 25 જૂન, 2025ના રોજ અમેરિકાના ફ્લોરિડામાં આવેલા નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લૉન્ચ થયું હતું અને તેઓ 26 જૂને ISS પહોંચ્યા હતા. 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફર્યા પછી હવે તેમની વતન વાપસી થઈ છે.

શુભાંશુએ અમેરિકામાં એક વર્ષ સુધી સખત તાલીમ લીધા બાદ આ મિશન માટે તૈયારી કરી હતી. મિશન દરમિયાન તેમણે ભારત માટે મહત્વપૂર્ણ સાત વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, જેમાં અંતરિક્ષમાં ચણા અને મેથીના બીજ ઉગાડવા, અંતરિક્ષની શરીર પર થતી અસરોનું અભ્યાસ, માંસપેશીઓની નબળાઈ અને બ્રેઈન-કમ્પ્યુટર ઈન્ટરફેસ જેવા ક્ષેત્રોમાં સંશોધનનો સમાવેશ થાય છે. આ પ્રયોગો ભવિષ્યમાં અંતરિક્ષ ખેતી, માનવ સ્વાસ્થ્ય અને ટેકનોલોજી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

 

Leave a Reply

Your email address will not be published.