ગુજરાતના અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ભારે પવન અને વરસાદને કારણે તોફાન સર્જાતા ત્રણ માછીમારી બોટ ડૂબી જવાની મોટી દુર્ઘટના બની છે. આ બોટોમાં કુલ 28 માછીમારો સવાર હતા, જેમાંથી 17ને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના 11 માછીમારો હજુ પણ લાપતા છે.
આ ઘટના જાફરાબાદથી લગભગ 18 નોટિકલ માઈલ દૂર બની હતી. કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હોવા છતાં ખરાબ હવામાન અને ઊંચા મોજા કારણે હેલિકોપ્ટર રેસ્ક્યૂ માટે જઈ શક્યું નથી, જેના કારણે બોટ દ્વારા જ બચાવ કામગીરી ચાલી રહી છે.
ડૂબેલી બોટોમાં જાફરાબાદની ‘જયશ્રી તાત્કાલિક’ અને ગીર સોમનાથની ‘મુરલીધર’ નામની બોટનો સમાવેશ થાય છે. આ બન્ને બોટમાં કુલ 18 માછીમારો હતા. સમયસૂચકતા વાપરીને અન્ય બોટ ધારકોએ 10 માછીમારોને બચાવી લીધા, જેમાંથી 2ને ઈજા પહોંચી છે.
ત્રીજી બોટ ‘દેવકી’ પણ દરિયાના તોફાનમાં સપડાઈ હતી. આ બોટમાં 10 ખલાસી હતા, જેમાંથી 7ને અન્ય બોટ ‘દરિયા દોલત’ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા, જ્યારે 3 ખલાસીઓ હજુ પણ લાપતા છે.
સ્થાનિક માછીમાર એસોસિએશન, ફિશરીઝ વિભાગ અને વહીવટી તંત્ર લાપતા માછીમારોની શોધખોળમાં લાગ્યા છે. જાફરાબાદ કોળી સમાજ અને ખારવા સમાજની બોટ એસોસિએશનોના સભ્યો પણ બચાવ કામગીરીમાં સહકાર આપી રહ્યા છે. હાલ વાતાવરણ અનુકૂળ બન્યા પછી કોસ્ટગાર્ડ વધુ સક્રિય પગલાં લેશે તેવી શક્યતા છે.

Leave a Reply