ભાવનગરમાં મેઘરાજાનો પ્રહાર: મહુવામાં પૂરની સ્થિતિ

ભાવનગરમાં મેઘરાજાનો પ્રહાર: મહુવામાં પૂરની સ્થિતિ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે, ખાસ કરીને ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મહુવા તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

મહુવાના મોટા જાદરા અને ગુંદરણી ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થતા બંને ગામનો સંપર્ક તૂટી ગયો હતો. ગ્રાસવો નદીમાં ભારે પૂરના કારણે નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના કારણે ગામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના તેજ પ્રવાહ વચ્ચે અવરજવર અશક્ય બની ગઈ હતી.

આ વચ્ચે ગુંદરણી ગામના શીવાભાઈ સોલંકી નામના વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા અને તેઓ ચાર કલાક સુધી અટવાયેલા રહ્યા. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ઝડપી કામગીરીને કારણે શીવાભાઈને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, જેને કારણે ગામજનો અને તંત્રને રાહતનો શ્વાસ મળ્યો. સાથે જ, ટ્રેક્ટરની મદદથી અન્ય લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 59 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં રાજાસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર, મેઢા, ભેગાળી, દાત્રડ સહિતના ગામોનો સમાવેશ થાય છે.

આ સિવાય, ઠાંસા ગામમાં પણ જળબંબાકાર સર્જાયો છે. અહીં ભારે વરસાદના કારણે મકાનો અને મંદિરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published.