એશિયા કપ 2025ના આયોજનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, ભારત પાકિસ્તાન સામે માત્ર મલ્ટી નેશનલ ટુર્નામેન્ટ્સમાં જ રમશે, જ્યારે દ્વિપક્ષીય શ્રેણી પૂર્વવત નિષિદ્ધ રહેશે. ભારત સરકારનું કહેવું છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસે નહીં જાય અને પાકિસ્તાનની ટીમને પણ ભારતમાં પ્રવેશ આપવા પર મનાઈ રહેશે.
આ વખતે એશિયા કપ યુએઈમાં 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ગ્રૂપ સ્ટેજમાં ભારત ત્રણે મેચ રમશે – જેમાં 10 સપ્ટેમ્બરે યૂએઈ સામે, 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે દુબઈમાં હાઈ-વોલ્ટેજ મેચ અને 19 સપ્ટેમ્બરે ઓમાન સામે અબુધાબી ખાતે મેચ શામેલ છે. સુપર-4 અને ફાઈનલ રાઉન્ડ સુધી બંને ટીમો પહોંચે તો ત્રણ મેચ ભારત-પાકિસ્તાન વચ્ચે થવાની શક્યતા છે.
રમત-ગમત મંત્રાલયે જણાવ્યું કે એશિયા કપ અને ICC ટૂર્નામેન્ટ્સને મલ્ટીનેશનલ સ્પર્ધાઓ તરીકે ગણવામાં આવે છે અને તેમાં ન્યુટ્રલ વેન્યુ રાખવા શરત રહેશે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, “દ્વિપક્ષીય રમતો માટે અમારા વલણમાં કોઈ ફેરફાર નહીં થાય.”
BCCI દ્વારા 19 ઓગસ્ટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સૂર્યકુમાર યાદવને કૅપ્ટન અને શુભમન ગિલને વાઈસ કૅપ્ટન બનાવાયા છે. ટીમમાં તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, સંજુ સેમસન સહિત મજબૂત ખેલાડીઓનો સમાવેશ થયો છે.

Leave a Reply