વિદેશ મંત્રી એસ. જયશંકરે મોસ્કો ખાતે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી અને ભારત પર લાગેલા અમેરિકી ટેરિફ અંગે સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે રશિયાનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ખરીદનાર દેશ ભારત નહીં પરંતુ ચીન છે. એચએલએનજી સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ ભારત સૌથી મોટો ગ્રાહક નથી, એ યુરોપિયન યુનિયન છે. તેમ છતાં અમેરિકા દ્વારા માત્ર ભારત પર જ ટેરિફ લાદવો, અણધારી અને એકતરફી નિર્ણય હોવાનું જણાવ્યું હતું.
જેયશંકરે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી ઘણા દેશોએ રશિયાથી આયાતમાં વધારો કર્યો છે, તેમ છતાં માત્ર ભારતને નિશાન બનાવવામાં આવ્યું છે. તેમણે તાકિદ કરી કે ભારતે રશિયાથી ક્રૂડ ખરીદીનો નિર્ણય ઊર્જા બજારમાં સ્થિરતા લાવવા માટે લીધો હતો, જે પોતે અમેરિકાએ પણ સમર્થન કર્યું હતું. ઉપરાંત ભારતે અમેરિકાથી પણ ક્રૂડ ખરીદીમાં વધારો કર્યો છે, છતાં અમેરિકાનું વર્તન દુખદ અને વિચિત્ર છે.
રશિયા સાથેના સંબંધો અંગે જેયશંકરે ઉમેર્યું હતું કે, ભારત અને રશિયા દુનિયાના સૌથી સ્થિર દ્વિપક્ષીય સંબંધ ધરાવતા દેશોમાંથી એક છે. બંને દેશોએ એનર્જી, ડિફેન્સ, ટેક્નોલોજી અને રોકાણ ક્ષેત્રે સહયોગ મજબૂત બનાવ્યો છે. રશિયાએ ભારતના “મેક ઈન ઈન્ડિયા” પ્રયાસોને પણ સહકાર આપ્યો છે.
તેમણે વ્યાપારના મુદ્દે જણાવ્યું કે કૃષિ, ફાર્મા અને ટેક્સટાઈલ સેક્ટરમાં નિકાસ વધારવાની સાથે ભારત રશિયા સાથેના વેપાર સંતુલન સુધારવા માટે પ્રતિબદ્ધ છે. રશિયા હાલમાં ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર છે, પરંતુ આ બાબત પર અમેરિકાએ જે રીતે વિવાદ ઊભો કર્યો છે, તે મૌલિક ન્યાયની વિરુદ્ધ છે.

Leave a Reply