જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગિરનાર અને દાતાર પર્વત પર પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગિરનાર પર્વત પર માત્ર બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતાં દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. આજે અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ માટે દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા, પરંતુ સલામતીને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રએ દામોદર કુંડ, જટાશંકર અને વિલિંગડન ડેમ પર યાત્રાળુઓના પ્રવેશ પર તાત્કાલિક રોક લગાવી છે.
પોલીસ દ્વારા દામોદર કુંડ પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે પાણીનું સ્તર ઘટશે અને પરિસ્થિતિ સામાન્ય બનશે, ત્યારે જ યાત્રાળુઓને પ્રવેશ આપવામાં આવશે. ભારે વરસાદને કારણે જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા તેમજ નદી-નાળા અને જોખમી સ્થળોથી દૂર રહેવા અપીલ કરી છે.

Leave a Reply