‘એબટાબાદમાં કોણ હતો, દુનિયાને ખબર છે’: અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર જયશંકરનો કટાક્ષ

‘એબટાબાદમાં કોણ હતો, દુનિયાને ખબર છે’: અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર જયશંકરનો કટાક્ષ

ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ વિવાદને કારણે તણાવ વધી રહ્યો છે, જ્યારે બીજી બાજુ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે આવનારા સમયમાં ભારત પાકિસ્તાન પાસેથી તેલ ખરીદશે. આ પરિસ્થિતિમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકાને કડક જવાબ આપ્યો છે અને પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનના આશ્રયની યાદ અપાવી છે.

એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે કહ્યું કે, “અમેરિકા અને પાકિસ્તાનનો એકબીજા સાથેનો ઈતિહાસ રહ્યો છે અને ઈતિહાસને અવગણવાનો પણ ઈતિહાસ રહ્યો છે. આ પહેલીવાર નથી. આજે અમેરિકી સેના કોઈને સર્ટિફિકેટ આપે છે, પરંતુ થોડા વર્ષો પહેલા એ જ સેના એબટાબાદમાં ઘૂસી હતી. આખી દુનિયાને ખબર છે કે ત્યાં કોણ મળ્યું હતું.”

ટ્રમ્પના મધ્યસ્થીના દાવા પર પણ જયશંકરે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, “ભારતે ક્યારેય કોઈ મધ્યસ્થી સ્વીકાર્યો નથી. ઓપરેશન સિંદૂર સમયે અમેરિકા સહિત અનેક દેશોએ અમારો સંપર્ક કર્યો હતો, પરંતુ મધ્યસ્થીનો કોઈ પ્રશ્ન જ નહોતો. આવા દાવા ખોટા છે.”

જયશંકરે આગળ કહ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચેની વાટાઘાટો ચાલુ છે અને કોઈ મતભેદને કારણે સંબંધોમાં તોડફોડ નથી થઈ. પરંતુ ભારત પોતાની રેડ લાઈન્સ પરથી સમાધાન નહીં કરે, ખાસ કરીને ખેડૂતો અને નાના ઉત્પાદકો સંબંધિત મુદ્દાઓ પર.

રશિયા પાસેથી તેલ ખરીદી પર અમેરિકાની ટિપ્પણીઓને લઈને તેમણે સ્પષ્ટ કહ્યું કે, “જો તમને ભારતથી રિફાઈન્ડ તેલ ખરીદવામાં વાંધો હોય તો ના ખરીદશો.”

 

Leave a Reply

Your email address will not be published.