પુતિન પછી ઝેલેન્સ્કી પણ ભારત આવશે, બંને દેશોના પ્રમુખોની મુલાકાતથી વધશે વ્યૂહાત્મક ભાગીદારી

પુતિન પછી ઝેલેન્સ્કી પણ ભારત આવશે, બંને દેશોના પ્રમુખોની મુલાકાતથી વધશે વ્યૂહાત્મક ભાગીદારી

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત તટસ્થ નીતિ જાળવીને બંને દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વર્ષે અંતે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત લેશે તેવી પુષ્ટિ થઈ છે. તે સાથે જ યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીની ભારત મુલાકાત અંગે પણ સંકેત મળ્યા છે.

યુક્રેનના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દિલ્હીના કુતુબ મિનારને યુક્રેનના ધ્વજના રંગોથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. યુક્રેનના રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુકે જણાવ્યું કે ભારત અને યુક્રેન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ઝડપથી આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેલેન્સ્કીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે અને બંને પક્ષો હાલમાં મુલાકાતની તારીખ નક્કી કરવા પર ચર્ચા કરી રહ્યા છે.

બીજી તરફ, પુતિનની ભારત મુલાકાત અંગે પણ ચર્ચા ગરમ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પુષ્ટિ કરી હતી કે પુતિન 2025ના અંત સુધી ભારત આવશે. આ મુલાકાત એવા સમયે થવાની છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી પર નારાજગી વ્યક્ત કરી છે અને ભારત પર ટેરિફમાં 50% વધારો કર્યો છે. ભારતે આ નિર્ણયને ‘અતાર્કિક’ ગણાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે તે પીછેહઠ નહીં કરે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારત-અમેરિકા વેપાર કરારની વાટાઘાટોમાં ભારત તેના હિતોથી પાછું નહીં હટે. તેમણે કહ્યું કે ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતોને નુકસાન પહોંચાડે તેવો કોઈ કરાર ભારત કરશે નહીં. તેમણે ઉમેર્યું કે હાલ ભારત-અમેરિકા સંબંધો સામે ત્રણ પડકાર છે: વેપાર અને ટેરિફનો મુદ્દો, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી અને પાકિસ્તાન અંગે અમેરિકાનો હસ્તક્ષેપ.

જયશંકરે આ પણ કહ્યું કે ટ્રમ્પની વિદેશ નીતિ અગાઉના પ્રમુખોથી સંપૂર્ણપણે જુદી છે અને દુનિયાએ આવા અમેરિકન પ્રમુખને ક્યારેય નથી જોયા જે આટલી ખુલ્લેઆમ નીતિ સંચાલન કરે છે.

 

Leave a Reply

Your email address will not be published.