અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા છેલ્લા દસ વર્ષમાં સ્ટ્રોમ વોટર લાઈન અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન તથા મેઈન્ટેનન્સ માટે 200 કરોડથી વધુ ખર્ચવામાં આવ્યા હોવા છતાં શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. સામાન્ય એવા એક ઈંચ વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને કલાકો સુધી ઓસરતું નથી. તમામ પમ્પિંગ સ્ટેશન ખાનગી કોન્ટ્રાક્ટરોને હવાલે કર્યા છે, છતાં કામગીરીમાં બેદરકારી જોવા મળે છે.
સરદારનગર પમ્પિંગ સ્ટેશનમાં ભારે વરસાદ દરમિયાન કર્મચારીઓ ઊંઘતા જોવા મળેલા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા AMCના કાર્ય પર સવાલો ઊભા થયા છે. છેલ્લા દસ વર્ષમાં જોધપુર વોર્ડના પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારોમાં જ 29 કિલોમીટર લાંબી સ્ટ્રોમ વોટર લાઈન માટે 29 કરોડનો ખર્ચ થયો હતો, જ્યારે આખા શહેરમાં માત્ર 30 ટકા સ્ટ્રોમ વોટર લાઈન જ નાંખાઈ છે. કુલ 980 કિલોમીટર પૈકી પશ્ચિમ વિસ્તારમાં 35 ટકા અને પૂર્વ વિસ્તારમાં 65 ટકા લાઈનો આવેલી છે.
કોર્પોરેશનના આંકડા મુજબ દર વર્ષે 3થી 4 કરોડ રૂપિયા ઓપરેશન, મેઈન્ટેનન્સ અને નેટવર્ક માટે ખર્ચવામાં આવે છે, છતાં નવા નવા પાણી ભરાવાના સ્પોટ્સ વધતા જાય છે. વર્ષ 2019માં આશ્રમ રોડ પર 105 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી હતી, છતાં હાલત સુધરેલી નથી. ખાસ કરીને વર્ષ 2007માં AMC હદમાં સામેલ થયેલા સરખેજ, મકતમપુરા, વેજલપુર, થલતેજ, ઘાટલોડિયા, રાણીપ અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં 18 વર્ષ પછી પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વેજલપુરનો શ્રીનંદનગર વિસ્તાર વરસાદી પાણી ભરાવાનો હોટ સ્પોટ ગણાય છે.

Leave a Reply