સુરતમાં ગણેશોત્સવના આગમન પહેલાં શોભાયાત્રાઓનો ભારે ઠાઠમાઠ શરૂ થયો છે, પરંતુ સુરક્ષાની બેદરકારી ભક્તો માટે વિઘ્નરૂપ સાબિત થઈ રહી છે. ગઈકાલે રાત્રે અડાજણ પ્રાઈમ આર્કેડ વિસ્તારમાં ગાર્ડન ગ્રુપ દ્વારા કાઢવામાં આવેલી ગણેશ આગમન યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી. સ્ટેજ પર ક્ષમતા કરતાં વધુ લોકો ભેગા થતાં સ્ટેજ અચાનક ધરાશાયી થઈ પડ્યું હતું. આ અકસ્માતમાં અનેક લોકોને ઈજા પહોંચી હતી અને ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઈ હતી.
ઘટના બાદ ચારેતરફ ચીચીયારીઓ વચ્ચે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આયોજકોની બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે. ભક્તોના ઉત્સાહ વચ્ચે આયોજકો સુરક્ષાની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયા હોવાથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
વિશેષ વાત એ છે કે, ભૂતકાળમાં પણ અડાજણ વિસ્તારમાં આવી જ યાત્રા દરમ્યાન લાઇટિંગ ટાવર તૂટી પડવાનો બનાવ બન્યો હતો, પરંતુ ત્યારે સદનસીબે જાનહાનિ થઈ નહોતી. અગાઉના અકસ્માત છતાં સુરક્ષાની તકેદારી ન રાખવાથી ફરી એક વાર ભક્તો પર સંકટ તૂટી પડ્યું છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકો તથા ભક્તો તંત્રને આ મામલે કડક પગલા લેવા અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે કડક સુરક્ષા નિયમો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે.

Leave a Reply