સંયુક્ત રાષ્ટ્રે શુક્રવારે ગાઝામાં સત્તાવાર રીતે દુકાળની જાહેરાત કરી છે, જે પશ્ચિમ એશિયામાં પહેલી વખત થયો છે. યુએનના નિષ્ણાતોના મતે, ગાઝામાં લગભગ પાંચ લાખથી વધુ લોકો ગંભીર ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનું પરિણામ માનવામાં આવે છે. યુએનના સહાયતા પ્રમુખ ટોમ ફ્લેચરે કહ્યું કે, ગાઝાના દુકાળને રોકી શકાય હોત, જો ઈઝરાયલ દ્વારા ખોરાક પહોંચવામાં આવતી અડચણો ન હોત.
ઈઝરાયલએ આ આરોપોને નકારી દીધું છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ગાઝામાં કોઈ દુકાળ નથી અને આ દાવા હમાસના જૂઠાણાં પર આધારિત છે. સાત ઓક્ટોબર, 2023 થી ચાલતા યુદ્ધના કારણે ગાઝામાં ભારે વિનાશ થયો છે. હમાસના હુમલાઓ બાદ ઈઝરાયલના હવાઈ હુમલાઓમાં ખોરાક, પાણી અને દવાનો પુરવઠો બંધ થઈ ગયો છે, જેના કારણે જીવન અતિ મુશ્કેલ બની ગયું છે. રેડ ક્રોસ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ઈઝરાયલને નાગરિકોની આવશ્યક જરૂરિયાતો પૂરી પાડવા વિનંતી કરી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રની તાજેતરની રિપોર્ટ મુજબ, ગાઝા પટ્ટાનો લગભગ 20 ટકા વિસ્તાર દુકાળનો સામનો કરી રહ્યો છે. 15 ઓગસ્ટ, 2025 સુધીમાં દુકાળના પુરાવા મળ્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ઇઝરાયલના હુમલાઓમાં ઓછામાં ઓછા 62,192 પેલેસ્ટિનિયનનાં મોત થયા છે, જેમાં મોટાભાગના નાગરિકો હતા.
ઈન્ટિગ્રેટેડ ફૂડ સિક્યોરિટી ફેઝ ક્લાસિફિકેશન (IPC) મુજબ, 22 મહિનાના સંઘર્ષ પછી પાંચ લાખથી વધુ લોકો ભૂખમરાના ખતરનાક પરિસ્થિતિમાં છે. આ સંખ્યા સપ્ટેમ્બર સુધીમાં 6.41 લાખ સુધી વધી શકે છે. ગાઝામાં 98% કૃષિ જમીન નુકસાન પામી છે અથવા પહોંચની બહાર છે, પશુધન નષ્ટ થયું છે અને માછીમારી પર પ્રતિબંધ મૂકાયો છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખે ગાઝાને ભૂખ્યું રાખવાનું “યુદ્ધ અપરાધ” ગણાવ્યો છે.

Leave a Reply