ભારતના પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન મિશન ‘ગગનયાન’ માટે તૈયારીઓમાં તેજી આવી છે. રવિવારે ઈસરોએ પેરાશૂટ આધારિત ડિસેલેરેશન સિસ્ટમનું પ્રદર્શન કર્યું, જેમાં પહેલું સંકલિત એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ પરીક્ષણ ISRO, ભારતીય વાયુસેના, DRDO, ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યું. ઈસરોએ X પર માહિતી આપી કે ગગનયાન મિશન માટે આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.
ગગનયાન મિશન શું છે?
ગગનયાન મિશન ભારતનું પહેલું માનવ અંતરિક્ષ મિશન છે, જેમાં ચાર અંતરિક્ષયાત્રીઓને નીચા પૃથ્વી ભ્રમણકક્ષામાં (400 કિમી) મોકલવામાં આવશે અને ત્રણ દિવસ બાદ સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવશે. મિશનની શરૂઆત માનવરહિત ઉડાનથી થશે, જેમાં માનવ-રોબોટ ‘વ્યોમમિત્ર’ અંતરિક્ષમાં મોકલાશે.
તાજેતરમાં સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમ (SMPS) નું કામ પણ પૂર્ણ થયું છે. આ સિસ્ટમ રૉકેટને યોગ્ય ભ્રમણકક્ષામાં લઈ જવા, ઉડાન દરમિયાન દિશા નિયંત્રણ, ગતિ નિયંત્રણ તેમજ આપાતકાલીન પરિસ્થિતિમાં મિશન રદ્દ કરીને અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત પાછા લાવવાનું કામ કરે છે.
ભવિષ્યની યોજનાઓ:
ઈસરોની યોજનાઓ મુજબ, વર્ષના અંત સુધીમાં ગગનયાન-1 મિશન લોન્ચ થશે. 2027માં ભારત પોતાની પહેલી માનવયુક્ત અંતરિક્ષ ઉડાન કરશે. તે પછી 2028માં ચંદ્રયાન-4, શુક્ર મિશન અને 2035 સુધીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના થશે. 2040 સુધીમાં ભારત ચંદ્ર પર અંતરિક્ષયાત્રીઓને મોકલવાનું લક્ષ્ય ધરાવે છે.

Leave a Reply