જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં મંગળવાર (26 ઓગસ્ટ) એ વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે ભારે તબાહી મચી છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને અંદાજે 15 ઘરોને નુકસાન થયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ અભિયાન તેજીથી ચલાવવામાં આવી રહ્યું છે. ડોડાના ડેપ્યુટી કમિશનર હરવિંદર સિંહે ઘટનાની પુષ્ટિ કરી છે.
સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે, જ્યારે ગઈ રાત્રે ભારે વરસાદને કારણે ચારવા અને મરમ્મત વિસ્તારમાં વાદળ ફાટ્યું. ત્રણ ફુટના બ્રિજને પણ નુકસાન પહોંચ્યું છે, જ્યારે ચિનાબ નદી ખતરાની સપાટીથી ઉપર વહી રહી છે.
ડોડાના કમિશ્નરે X પર જણાવ્યું કે ભૂસ્ખલન અને પથ્થરો પડવાને કારણે એનએચ-244 (ડોડા-કિશ્તવાડ હાઈવે) પર ટ્રાફિક સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે. રસ્તાનો મોટો ભાગ ધરાશાયી થતાં યાત્રીઓ અને સ્થાનિકોને આ રૂટ ટાળવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ પરિસ્થિતિ પર તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી છે અને જણાવ્યું છે કે સ્થિતિ ખૂબ ગંભીર છે. તેમણે કહ્યું કે, “હું પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા જમ્મુ જવા માટે આગળની ફ્લાઇટ લઉં છું.” તેમણે તમામ ડેપ્યુટી કમિશનરોને તાત્કાલિક રાહત કામગીરી માટે વધારાના ભંડોળ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે.
ખરાબ હવામાનને કારણે માતા વૈષ્ણો દેવીની યાત્રા તાત્કાલિક સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગે જમ્મુ વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કર્યો છે, અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
વહીવટી તંત્રએ ઇમરજન્સી માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે જેથી પ્રભાવિત લોકોને તાત્કાલિક મદદ મળી શકે.

Leave a Reply