જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં મંગળવારે માતા વૈષ્ણોદેવી ધામ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે ભયાનક ભૂસ્ખલન સર્જાયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 31 શ્રદ્ધાળુઓના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે એક ડઝનથી વધુ યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ અધકવારી નજીક ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે બની હતી, જે કટરાથી ભવન સુધીના 12 કિમી લાંબા પગપાળા માર્ગના મધ્યભાગમાં આવેલો છે.
રિયાસીના એસએસપી પરમવીર સિંહે જણાવ્યું કે ભારે વરસાદથી પર્વતો ખસી પડતાં અનેક શ્રદ્ધાળુઓ તેમાં ફસાઈ ગયા હતા. તાત્કાલિક અસરથી યાત્રા રોકી દેવામાં આવી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ થયેલાઓને નજીકની હોસ્પિટલો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે અને મૃતકોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે.

ભારતીય સેના, એનડીઆરએફ તથા સ્થાનિક પોલીસ તંત્રના દળોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે “અમારા સૈનિકો જીવ બચાવવા, ઘાયલોને મદદ પહોંચાડવા અને શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવા સતત પ્રયાસ કરી રહ્યા છે.”
આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અનંતનાગ, કિશ્તવાડ, ડોડા, કઠુઆ, રામબન, ઉધમપુર, રિયાસી, રાજૌરી, જમ્મુ અને સાંબા જિલ્લાઓનો સમાવેશ થાય છે. વહીવટીતંત્રે લોકોને સાવધાની રાખવા, બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અને સલામત સ્થળોએ રહેવા અપીલ કરી છે.

ઘટના સમયે હજારો શ્રદ્ધાળુઓ કટરાથી ભવન તરફ યાત્રા પર હતા, જેના કારણે માર્ગ પર ભારે ભીડ હતી. આ દુર્ઘટના પછી તાત્કાલિક યાત્રા બંધ કરી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Leave a Reply