અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વેપાર ક્ષેત્રમાં કડક વલણ અપનાવતા વધારાના 25 ટકા ટેરિફ લાગુ કરવાનો નોટિફિકેશન જાહેર કર્યો છે. આ પગલાથી હવે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા 48 અબજ ડોલરથી વધુના ઉત્પાદનો પર કુલ 50 ટકા ‘ટ્રમ્પ ટેરિફ’ લાગુ થશે. તાજેતર સુધી લાગુ કરેલા 25 ટકા ટેરિફ બાદ મંગળવારે જાહેર કરાયેલા આ વધારાના ટેરિફનો અમલ બુધવારથી શરૂ થયો છે.
ટ્રમ્પે આ નિર્ણય ભારતના રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીના મુદ્દે દબાણ બનાવવા માટે લીધો હોવાનું જણાવાયું છે. અમેરિકન હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે જાહેર કરેલી નોટિસમાં જણાવાયું છે કે બુધવાર સવારે 9:31 કલાક પછી આયાત થનારા અથવા ગોદામમાંથી બહાર પાડવામાં આવતા ભારતીય ઉત્પાદનો પર આ વધારાનો ટેરિફ લાગુ રહેશે.
આ નવા ટેરિફના કારણે ભારતના શ્રમ આધારિત નિકાસ સેક્ટર્સને ભારે ઝટકો લાગશે. તેમાં ખાસ કરીને શ્રીમ્પ, ટેક્સટાઈલ, એપેરલ, લેધર, જેમ્સ અને જ્વેલરી, ફૂટવેર, પશુ ઉત્પાદનો, રસાયણો અને ઈલેક્ટ્રિકલ તથા મિકેનિકલ મશીનરીનો સમાવેશ થાય છે. જોકે, ફાર્મા, એનર્જી પ્રોડક્ટ્સ અને ઈલેક્ટ્રોનિક ગૂડ્સને આ ટેરિફમાંથી છૂટ આપવામાં આવી છે.
વાણિજ્ય મંત્રાલયના અંદાજ મુજબ, ટ્રમ્પના 50 ટકા ટેરિફના અમલથી અમેરિકામાં ભારતની 48.2 અબજ ડોલરની નિકાસ પર સીધી અસર થશે. જ્યારે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI)ના અહેવાલ અનુસાર, આ ઝટકાથી ભારતની કુલ 50 થી 70 ટકા નિકાસ પ્રભાવિત થશે અને લગભગ 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં મુકાઈ શકે છે.
ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમેરિકા ટેરિફ મુદ્દે આકરા પગલાં લઈ રહ્યું છે, પરંતુ ભારત ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓના હિતોમાં કોઈ સમજૂતી નહીં કરે અને તમામ મુશ્કેલીઓનો સામનો કરવા સજ્જ છે.
ટ્રમ્પના આ નિર્ણયથી માત્ર ભારત જ નહીં, પરંતુ બ્રાઝિલ જેવા કેટલાક દેશો પર પણ અસર થઈ છે. અમેરિકા દ્વારા અન્ય સ્પર્ધકો પર લગાવવામાં આવેલા ટેરિફની તુલનામાં ભારત માટે સૌથી વધુ દર નક્કી કરવામાં આવ્યો છે. મ્યાનમાર પર 40%, થાઈલેન્ડ અને કંબોડિયા પર 36%, બાંગ્લાદેશ પર 35%, ઈન્ડોનેશિયા પર 32%, ચીન અને શ્રીલંકા પર 30%, મલેશિયા પર 25%, જ્યારે વિયેતનામ અને ફિલિપાઈન્સ પર 20% ટેરિફ લાગુ છે.
અમેરિકા ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. વર્ષ 2024-25માં દ્વિપક્ષીય વેપાર 131.8 અબજ ડોલર રહ્યો હતો, જેમાં ભારતે 86.5 અબજ ડોલરની નિકાસ અને 43.3 અબજ ડોલરની આયાત કરી હતી. અમેરિકાના આંકડા અનુસાર 2024માં ભારતમાં થઈ રહેલી નિકાસ 91.2 અબજ ડોલર જેટલી હતી. આ સ્થિતિમાં ટ્રમ્પના 50% ટેરિફના અમલથી ભારતના નિકાસ ક્ષેત્રને મોટો આર્થિક ઝટકો લાગી શકે છે.

Leave a Reply