ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ત્રણે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. રવિવારે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને એક્સ હેન્ડ પર નિવૃત્તિની જાહેરાત કરી, જેમાં તેણે જૂની યાદોને યાદ કરતાં ભાવુક પોસ્ટ લખી. પૂજારાએ પોતાની આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ કારકિર્દીમાં 100થી વધુ મેચ રમી છે અને ટીમ ઈન્ડિયાને અનેક મહત્વપૂર્ણ જીત માટે યોગદાન આપ્યું છે.
પૂજારાએ છેલ્લીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ના ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે રમ્યા હતા. ત્યારબાદ તેમની ટીમમાં ફરી વાપસી ન થઈ, કારણ કે BCCI યુવાનોને તક આપવા ઇચ્છતી હતી. શુભમન ગિલ અને જાયસ્વાલ જેવા બેટર્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યા, જેના કારણે પૂજારાને પુનઃ ટીમમાં આવવાનો મોકો ન મળ્યો.
BCCI દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત ખેલાડીઓ માટે પેન્શનની યોજના બનાવવામાં આવી છે. 1 જૂન 2022થી લાગુ થયેલ નિયમો અનુસાર, પુરુષ ખેલાડીઓને 30 હજારથી 70 હજાર રૂપિયાનું માસિક પેન્શન મળે છે, જ્યારે મહિલાઓને 45 હજારથી 52,500 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. આ પેન્શન રકમ ખેલાડીની ઇન્ટરનેશનલ કારકિર્દી અને પ્રદર્શન આધારિત હોય છે. સચિન તેંડુલકર અને સુનિલ ગાવસ્કર જેવા દિગ્ગજ ખેલાડીઓને મહિને 70 હજાર રૂપિયાનું પેન્શન મળે છે.
પૂજારાના ઇન્ટરનેશનલ કારકિર્દીની વિગતો મુજબ, તેણે 103 ટેસ્ટ અને 5 વનડે રમ્યા છે. તે T20I રમ્યો નથી. ટેસ્ટમાં તેણે 44.4ની એવરેજ સાથે 7,195 રન બનાવ્યા છે, જેમાં 19 શતક અને 35 અર્ધશતક શામેલ છે. અનુમાન મુજબ, BCCI પૂજારાને તેમની સફળ અને યોગદાનસભર કારકિર્દી માટે મહિને 60 હજાર રૂપિયાનું પેન્શન આપશે.

Leave a Reply