બોલીવૂડ અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા વચ્ચે છૂટાછેડાની અફવાઓ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહી હતી. જોકે ગણેશ ચતુર્થીના અવસરે બંને પતિ-પત્ની સાથે જોવા મળ્યા અને આ તમામ અફવાઓ પર સ્પષ્ટતા આપી. બુધવારે પેપરાઝી સામે હાજર થયેલા ગોવિંદા અને સુનીતાએ ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી અને પરિવાર સાથે ઉત્સવ મનાવ્યો.
આ અવસરે ગોવિંદાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, “આનાથી વધુ ખાસ કંઈ હોઈ શકે નહીં. જ્યારે ભગવાન ગણેશજીનો આશીર્વાદ મળે છે, ત્યારે તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે અમે બધા સાથે મળી શાંતિપૂર્વક જીવન જીવી લઈએ.”
ગોવિંદાએ પોતાના દીકરા યશ અને ટીના માટે આશીર્વાદ પણ માગ્યા. તેણે કહ્યું, “હું ખાસ કરીને યશ અને ટીના માટે આશીર્વાદ માંગું છું. ભગવાન તેમને સફળતા આપે અને તેઓ મારા કરતાં પણ વધારે સિદ્ધિઓ હાંસલ કરે.”
જ્યારે છૂટાછેડાની અફવાઓ અંગે ગોવિંદા અને સુનીતાને પ્રશ્ન પૂછાયો ત્યારે સુનીતાએ મીડિયા સામે સ્પષ્ટ જવાબ આપ્યો: “તમે વિવાદ સાંભળવા આવ્યા છો કે ગણપતિ બાપ્પા મોરિયા બોલવા આવ્યા છો? કોઈ વિવાદ નથી. જો અમે છૂટાછેડા લીધા હોત તો શું સાથે નજર આવત? અમને કોઈ જુદા કરી શકતું નથી – ભગવાન પણ નહીં. મારો પતિ માત્ર મારો છે, અને ગોવિંદા માત્ર મારો છે. જ્યાં સુધી અમે સામેથી પુષ્ટિ ન કરીએ ત્યાં સુધી કોઈ અફવા પર વિશ્વાસ ન કરો.”

Leave a Reply