વૈષ્ણોદેવી પાસે વાદળ ફાટતાં ભૂસ્ખલન: 41ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન તેજ

વૈષ્ણોદેવી પાસે વાદળ ફાટતાં ભૂસ્ખલન: 41ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન તેજ

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. વૈષ્ણોદેવી નજીક વાદળ ફાટતાં થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત ની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં મોટાભાગે વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ છે. જમ્મુમાં 52 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, જ્યાં ભારે વરસાદને કારણે નદીઓ ખતરાના સપાટીએ પહોંચી ગઈ છે અને અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસથી થઈ રહેલા અતિભારે વરસાદ પછી વૈષ્ણોદેવી માર્ગ પર અધકવારી ગુફા મંદિર પાસે ભૂસ્ખલન થયું, જેમાં વાહનો અને યાત્રાળુઓ ફસાઈ ગયા. અનેક લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાની હાલત ગંભીર છે, તેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, જિલ્લા પ્રશાસન, NDRF અને સેનાના જવાનો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

રેસ્ક્યૂ ઓપરેશનનો એક વીડિયો પઠાણકોટથી સામે આવ્યો છે, જેમાં સેનાનું હેલિકોપ્ટર 25 જવાનોને સુરક્ષિત સ્થળે ખસેડે છે અને ત્યારબાદ થોડા જ સમયમાં મકાન પાણીમાં તણાઈ જાય છે. લોકો આ દિલધડક ઓપરેશનની વખાણ કરી રહ્યા છે.

જમ્મુમાં 380 મીમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે ઉધમપુરમાં 629 મીમી વરસાદ નોંધાયો હતો, જે 1910 પછીનો સૌથી વધુ વરસાદ છે. ભારે વરસાદને કારણે જમ્મુમાં 64 જેટલી ટ્રેનો રદ થઈ છે અને મોબાઇલ નેટવર્ક પર પણ અસર થઈ છે, જેના કારણે સંપર્ક સાધવામાં મુશ્કેલી પડી રહી છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી છે. કિશ્તવાર જિલ્લામાં પૂરને કારણે અંતરીયાળ વિસ્તારોમાં 10થી વધુ મકાનો પાણીમાં તણાઈ ગયા છે.

તે ઉપરાંત, ગુરદાસપુરમાં આવેલી જવાહર નવોદય સ્કૂલમાં પાણી ઘૂસી જતાં 400 જેટલા વિદ્યાર્થી અને સ્ટાફ ફસાઈ ગયા હતા. રાવી નદીનું પાણી કાંઠાવાળા વિસ્તારોમાં ઘૂસી ગયું છે, અને પ્રશાસન પાસે મદદની અપીલ કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published.