કર્ણાટકના મેંગલોર શહેરમાં આજે, 28 ઓગસ્ટે, ભયાનક અકસ્માત બન્યો છે. કસર્ગોડથી મેંગલુરુ જઈ રહેલી કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસની બ્રેક ફેલ થતાં તે સીધી બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોનો કમકમાટીભર્યો મોત થયો છે, જેમાં ત્રણ મહિલાઓ, એક પુરુષ અને એક બાળક સામેલ છે.
પ્રાથમિક જાણકારી અનુસાર, કેટલાક મૃતકો બસ સ્ટેન્ડ પાસે બેઠેલા ઓટો રિક્ષામાં સવાર હતા. આ દુર્ઘટનામાં અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તરત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલીકની હાલત ગંભીર હોવાનું તબીબી અધિકારીઓએ જણાવ્યું છે.
પ્રાથમિક તપાસમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે અકસ્માત બસની બ્રેક ફેલ થવાના કારણે બન્યો. બસ ડ્રાઈવરે વાહન પર કાબૂ ગુમાવ્યો હતો અને તે સીધી સ્ટેન્ડમાં ઘૂસી ગઈ. સ્થાનિક પોલીસ અને રાહત ટીમો તરત ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ ચાલુ છે અને બેદરકારી દાખવતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply