નોટબંધીના સમયના આરબીઆઈ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલ હવે IMFમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમાયા

નોટબંધીના સમયના આરબીઆઈ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલ હવે IMFમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમાયા

કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલને આગામી ત્રણ વર્ષ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી છે.

ડૉ. ઉર્જિત પટેલે 2016માં રઘુરામ રાજન પછી આરબીઆઈના 24મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ભારત સરકારે સૌથી મોટો નાણાકીય નિર્ણય — નોટબંધી — અમલમાં મૂક્યો હતો, જેના કારણે ભારતીય અર્થતંત્રમાં ઐતિહાસિક બદલાવ આવ્યો હતો.

ટૂંકા કાર્યકાળમાં મોટા નિર્ણયો

વર્ષ 2018માં ડૉ. પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું. તેઓ 1992 પછીના સૌથી ટૂંકા કાર્યકાળ માટેના ગવર્નર બન્યા. તેમના કાર્યકાળમાં મોંઘવારી નિયંત્રણ માટે મોટું પગલું ભરાયું હતું. તેમના સૂચન પર મોંઘવારી દરની મર્યાદા 4 ટકા નક્કી કરવામાં આવી, જેને ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) પર આધારિત લક્ષ્ય તરીકે અપનાવવામાં આવ્યું. આ નિર્ણય ભારતીય નાણાકીય નીતિમાં માઇલસ્ટોન સાબિત થયો.

આરબીઆઈ અને અન્ય અનુભવો

આરબીઆઈના ગવર્નર બનતા પહેલા ડૉ. ઉર્જિત પટેલે ડેપ્યુટી ગવર્નર તરીકે સેવા આપી હતી, જેમાં તેમણે નાણાકીય નીતિ, આર્થિક સંશોધન, આંકડાકીય વ્યવસ્થાપન, થાપણ વીમો અને સંદેશાવ્યવહાર જેવા મહત્વના ક્ષેત્રો સંભાળ્યા હતા.

તેમણે અગાઉ IMFમાં પણ પાંચ વર્ષ સુધી સેવા આપી હતી. શરૂઆતમાં તેઓ વોશિંગ્ટન ડીસીમાં અને ત્યારબાદ 1992માં નવી દિલ્હીમાં ડેપ્યુટી રેસિડેન્ટ રિપ્રેઝન્ટેટિવ તરીકે ભારત આવ્યા હતા.

ઉપરાંત, તેમણે નાણા મંત્રાલયમાં સલાહકાર તરીકે (1998-2001) કાર્ય કર્યું હતું અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, IDFC લિમિટેડ, MCX લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જેવી અનેક જાહેર તથા ખાનગી સંસ્થાઓમાં પણ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી હતી.

ડૉ. ઉર્જિત પટેલની IMFમાં નવી જવાબદારી ભારતની નાણાકીય નીતિ તથા વૈશ્વિક અર્થતંત્ર વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે એવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published.