ભારતમાં શાળાઓમાં પ્રવેશ લેતા બાળકોની સંખ્યા ઘટી, શિક્ષણ મંત્રાલયનો અહેવાલ જન્મદર ઘટાડાને જવાબદાર ગણાવે છે

ભારતમાં શાળાઓમાં પ્રવેશ લેતા બાળકોની સંખ્યા ઘટી, શિક્ષણ મંત્રાલયનો અહેવાલ જન્મદર ઘટાડાને જવાબદાર ગણાવે છે

દેશમાં સતત બીજા વર્ષે શાળાઓમાં પ્રવેશ મેળવનારા બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ, વર્ષ 2024-25માં કુલ નોંધણી 24.69 કરોડ રહી, જે ગયા વર્ષની સરખામણીમાં આશરે 11 લાખ ઓછી છે. અગાઉ 2023-24માં આ આંકડો 24.80 કરોડ હતો, જ્યારે 2022-23માં 25.18 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. એટલે કે, બે વર્ષમાં કુલ 49 લાખનો ઘટાડો થયો છે.

શિક્ષણ મંત્રાલયનું માનવું છે કે આ ઘટાડાનું મુખ્ય કારણ દેશમાં જન્મ દરમાં સતત થતો ઘટાડો હોઈ શકે છે. મંત્રાલયે જણાવ્યું છે કે આ અંગે વધુ સ્પષ્ટતા નવી વસ્તી ગણતરીના ડેટા પરથી થશે. જો કે, પ્રાથમિક સ્તરે પણ પ્રવેશ ઘટ્યો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો એ એક મહત્વપૂર્ણ પરિબળ છે.

આ ડેટાથી વધુ એક સ્પષ્ટ પ્રવૃતિ સામે આવી છે – લોકો સરકારી શાળાઓ કરતાં ખાનગી શાળાઓ તરફ વધુ ઝુકી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી સરકારી શાળાઓમાં નોંધણી ઘટી રહી છે. 2024-25માં સરકારી શાળાઓમાં માત્ર 12.16 કરોડ બાળકો નોંધાયા, જ્યારે ખાનગી શાળાઓમાં આ આંકડો 9.59 કરોડ સુધી પહોંચી ગયો છે. 2022માં ખાનગી શાળાઓમાં 8.42 કરોડ બાળકો હતા, એટલે બે વર્ષમાં લગભગ 1.17 કરોડનો વધારો થયો છે. વિપરીત રીતે, સરકારી શાળાઓમાં 59 લાખનો ઘટાડો નોંધાયો છે.

વિશેષજ્ઞોના અનુમાન મુજબ, આગામી બે દાયકામાં આ પ્રવૃત્તિના ગંભીર પરિણામ નહીં જોવા મળે, પરંતુ 2050 સુધીમાં પરિસ્થિતિમાં મોટો ફેરફાર થઈ શકે છે. સદીના અંત સુધીમાં ભારતની વસ્તીમાં પણ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોંઘા શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને જીવનના વધતા ખર્ચને કારણે લોકો ઓછા બાળકો પેદા કરવાનો નિર્ણય લઈ રહ્યા છે, જેનો સીધો અસર શૈક્ષણિક પ્રવેશ પર પડી રહ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published.