બિહારમાં મતદાર યાદીની સમીક્ષા અંતિમ ચરણમાં પહોંચી છે અને ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બરે અંતિમ યાદી જાહેર કરવાની તૈયારી કરી છે. આ દરમિયાન, ત્રણ લાખથી વધુ સંદિગ્ધ મતદારોના નામ યાદીમાંથી દૂર થવાના સંકેતો છે. પંચના જણાવ્યા અનુસાર, આ મતદારો દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ગંભીર ખામીઓ મળી આવી છે, જેના આધારે નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સંબંધિત જિલ્લાઓમાં કિશનગંજ, પૂર્ણિયા, પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, અરરિયા, સહરસા, મધુબની અને સુપૌલનો સમાવેશ થાય છે. આ વિસ્તારો નેપાળ અને બાંગ્લાદેશની સરહદે આવેલા હોવાથી, મોટા પ્રમાણમાં દસ્તાવેજોમાં ખામીઓ જોવા મળી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ સંદિગ્ધ મતદારો બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાનમાંથી ગેરકાયદે પ્રવેશ્યા હોવાની શક્યતા છે અને નકલી દસ્તાવેજોના આધારે મતદાર ઓળખ કાર્ડ બનાવ્યા છે.
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જો આ મતદારો નોટિસ મળ્યા પછી નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરે તો તેમના નામ યાદીમાંથી કાપી નાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, અગાઉથી જ બિહારમાં 65 લાખ નામ હટાવવામાં આવ્યા છે, જેમાં મૃત્યુ પામેલા, સ્થળાંતરિત અને ડુપ્લિકેટ મતદારોનો સમાવેશ થાય છે. જો સંદિગ્ધ મતદારો દસ્તાવેજ સાથે ઓનલાઈન કે ઑફલાઈન અરજી નહીં કરે તો તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં મતાધિકાર ગુમાવી દેશે.
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે પારદર્શિતા જાળવવા માટે તમામ જિલ્લાઓમાં નોટિસ મોકલવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે અને અંતિમ યાદી પ્રકાશન પહેલાં તમામ વિગતો ચકાસવામાં આવશે.

Leave a Reply