RSS સાથે જોડાયેલ ખેડૂત સંગઠન ભારતીય કિસાન સંઘે સરકારના કપાસની આયાત પર કરમુક્તિ 31 ડિસેમ્બર સુધી લંબાવવાના નિર્ણય પર વાંધો ઉઠાવ્યો છે. ખેડૂત સંગઠનનું માનવું છે કે આ પગલાથી સ્થાનિક ખેડૂતોને નુકસાન થશે અને ભારતની આયાત પર નિર્ભરતા લાંબા ગાળે વધશે. આ સંદર્ભે, ભારતીય કિસાન સંઘે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને પોતાના અભિપ્રાય રજૂ કર્યો છે.
કિસાન સંઘે જણાવ્યું કે, ભારતમાં વાર્ષિક 320 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થાય છે, જ્યારે સ્થાનિક માંગ 391 લાખ ગાંસડીની છે. ભારત દર વર્ષે માત્ર 60 થી 70 લાખ ગાંસડી કપાસ આયાત કરે છે, એટલે કે, કુલ કપાસની માત્ર લગભગ 12 ટકા આયાત થાય છે. ભારતીય કિસાન સંઘે ચેતવણી આપી છે કે, આયાત પર મુક્તિ ચાલુ રાખીશું તો ભારત આગામી વર્ષોમાં કપાસનો નિકાસકાર બનવાના બદલે મોટો આયાતકાર દેશ બની જશે.
ખેડૂત સંગઠનનો દાવો છે કે, આ વર્ષે કપાસના ઉત્પાદન હેઠળનો વિસ્તાર ગયા વર્ષની સરખામણીએ 3.2 ટકા ઘટ્યો છે. સ્થાનિક કપાસની ઉપલબ્ધતા વધવા જોઈએ નહીં તો ભારત નિકાસકારને બદલે આયાતકાર બની જશે. કપાસની કિંમત પહેલેથી જ 7000 રૂપિયાથી ઘટીને 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. જો આયાત પર કરમુક્તિ ચાલુ રહેશે, તો ભાવ વધુ ઘટી શકે છે. વિદેશથી 2000 રૂપિયાના ભાવમાં કપાસ આવે તો સ્થાનિક કિસાન પાસેથી 5000 રૂપિયામાં કપાસ વેચવું મુશ્કેલ બનશે.
યાદ રહે, નાણામંત્રાલયે અગાઉ 11 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી આયાત પર છૂટ આપી હતી, હવે તેને વર્ષના અંત સુધી લંબાવવામાં આવી છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી મોહન મિત્રાએ જણાવ્યું કે, સરકારે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. આયાત પર સબસિડી ચાલુ રહે તો ભારત કપાસમાં વિદેશી બજાર બની જશે અને સ્થાનિક ઉત્પાદન પાછળ રહી જશે.

Leave a Reply