જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (29 ઓગસ્ટ, 2025) ધ યોમિઉરી શિંબુનને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીન અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચેનો સહકાર વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા લાવવા માટે ખૂબ જરૂરી છે. તેમણે જણાવ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણથી, પરસ્પર સન્માન, હિત અને સંવેદનશીલતા પર આધારિત રાખીને આગળ વધારવા પ્રતિબદ્ધ છે.
ચીન સાથેના સંબંધોને લઈને પૂછવામાં આવેલા સવાલ પર મોદીએ જણાવ્યું કે રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના આમંત્રણ પર તેઓ તિયાનજિન જશે અને શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેશે. મોદીએ ઉમેર્યું કે ગયા વર્ષે કઝાનમાં શી જિનપિંગ સાથે થયેલી બેઠક બાદ દ્વિપક્ષીય સંબંધોમાં સતત અને સકારાત્મક પ્રગતિ થઈ છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે બે પાડોશી દેશો તરીકે ભારત અને ચીન વચ્ચે સ્થિર, અનુમાનિત અને મૈત્રીપૂર્ણ સંબંધો પ્રાદેશિક તેમજ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પર સકારાત્મક અસર કરી શકે છે. આ એશિયાના બહુધ્રુવીય માળખા અને વિશ્વ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે હાલની વૈશ્વિક આર્થિક અસ્થિરતાને ધ્યાનમાં લેતા ભારત અને ચીન જેવા બે મોટા અર્થતંત્રોએ મળીને કામ કરવું જરૂરી છે. પરસ્પર વિશ્વાસ અને સંવેદનશીલતા પર આધારિત રણનીતિક સંવાદ દ્વારા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવી શકાય અને બંને દેશોના વિકાસ સંબંધિત પડકારોને પહોંચી વળાઈ શકે.

Leave a Reply