જૂનાગઢના ગિરનાર સ્થિત અંબાજી મંદિરના નવા મહંતની નિમણૂક અંગે વિવાદ ઊભો થયો છે. તનસુખગીરીના નિધન બાદ ચાદરવિધી કરવામાં આવી હોવા છતાં, ઉદાસી સંપ્રદાયના મહામંડલેશ્વર અને પ્રભાસ-પાટણ સ્થિત ખોડીયાર મંદિરના મહંત બજરંગદાસ બાપુએ કલેક્ટરને રજુઆત કરી છે કે આ પ્રક્રિયા ગેરકાયદેસર છે. તેમનું કહેવું છે કે તનસુખગીરી બ્રહ્મલીન થયા પછીના દશ મહિનામાં હજુ સુધી પરંપરા મુજબનો ભંડારો કરવામાં આવ્યો નથી.
સાધુ સમાજના નિયમ મુજબ, મહંતના નિધન બાદ સોળસી ભંડારો કરવો જરૂરી છે અને તે પહેલા સાધુ સમાજની બેઠક યોજાય છે. પરંતુ હાલ પ્રીતમગીરીને મહંત તરીકેની ચાદરવિધી કરવામાં આવી હોવાના આક્ષેપ છે, જેમાં દશનામ સાધુ સમાજ, શ્રીમત જૂનાગઢ અખાડા અને ગિરનાર મંડળના સાધુઓ હાજર રહ્યા નહોતા. બજરંગદાસ બાપુએ જણાવ્યું કે, નિયમોના ભંગ સાથે કરાયેલી આ ચાદરવિધી કાયદેસર નથી, તેથી તેને રદ કરવાની માંગણી કરવામાં આવે છે.
જો આ પ્રક્રિયા રદ નહીં થાય અને પ્રેમગીરીને મહંત તરીકે માન્યતા આપવામાં આવશે, તો સાધુ સમાજ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે. સ્થાનિક આગેવાનોનો મત છે કે તંત્રે યોગ્ય પ્રક્રિયા અનુસરવી જોઈએ, જેથી હિંદુ સમાજમાં અશાંતિ ન ફેલાય. હવે તંત્ર કઈ નીતિ અપનાવે તે પ્રશ્ન ચર્ચાસ્પદ બન્યો છે.

Leave a Reply