ચીનના તિયાનજિનમાં યોજાયેલા SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. આ બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પીએમ મોદીએ ચીન સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને તેને વૈશ્વિક જોખમ ગણાવતાં ભારતને ટેકો આપવા અપીલ કરી.
વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું કે, પીએમ મોદીએ જિનપિંગ સાથે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપરાંત આતંકવાદ જેવા પડકારોનો સામનો કરવા માટે જોડાણ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત અને ચીન હરીફ નથી, પરંતુ વિકાસના ભાગીદાર છે અને મતભેદોને વિવાદોમાં ફેરવવા ન જોઈએ. પીએમ મોદીએ જિનપિંગને 2026માં ભારતમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું.
વિવિધ ચર્ચાઓમાં સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુમેળના મહત્વ પર ભાર મૂક્યો અને બંને વડાઓએ સરહદ મદ્દે યોગ્ય, નિષ્પક્ષ અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગયા વર્ષે સૈનિકોની સફળ વાપસી બાદ સરહદ પર શાંતિ જાળવી રાખવામાં સંતોષ વ્યક્ત કર્યો.
જિનપિંગે પીએમ મોદીને કહ્યું કે “મિત્ર બનવું બંને દેશો માટે યોગ્ય વિકલ્પ છે. એલિફન્ટ અને ડ્રેગન સાથે મળીને કામ કરે અને બંને લોકોની સુખાકારી, વિકાસશીલ દેશોની એકતા અને માનવ સમાજની પ્રગતિને વેગ આપે.” તેમણે જણાવ્યું કે બંને દેશોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે સંબંધો બાંધવા જોઈએ.
ચીનની શિન્હુઆ એજન્સીના અહેવાલ મુજબ, જિનપિંગે પીએમ મોદીને કહ્યું કે ભારત અને ચીન હરીફ નથી પરંતુ સહયોગી ભાગીદાર છે. અમેરિકાની એકપક્ષીય નીતિઓ ટીકાજનક છે અને બંને દેશોને બહુપક્ષીયતા જાળવવા, એશિયા અને વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા કામ કરવું જોઈએ.
લગભગ દસ મહિનામાં પીએમ મોદી- જિનપિંગ ની આ બીજી મુલાકાત છે. અમેરિકાની ટેરિફ નીતિઓને કારણે ભારત-અમેરિકાના સંબંધોમાં પડેલી તિરાડને ધ્યાનમાં લેતા ચીન સાથે વેપાર સંબંધો સુધારવા પર ભાર મુકાયો. જિનપિંગે જણાવ્યું કે વિશ્વ હાલ સદીમાં એકવાર આવતા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, અને ભારત-ચીન જેવી પ્રાચીન અને મોટી વસ્તી ધરાવતી રાષ્ટ્રો આ પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે.

Leave a Reply