અમેરિકા સાથેના ટેરિફ તણાવ વચ્ચે આજે સવારે અહેવાલો સામે આવ્યા કે ભારતે અમેરિકાની F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી દીધી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટેરિફના વલણ બાદ ભારતે અમેરિકાથી જેટ્સ ન ખરીદવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું હતું. આ અહેવાલ પર વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપતા કહ્યું કે આ મુદ્દે અમેરિકા સાથે હજી સુધી કોઈ ઔપચારિક ચર્ચા થઈ નથી.
લોકસભામાં લેખિત જવાબ આપતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ‘આ મુદ્દા પર હજી સુધી કોઈ ઔપચારિક વાતચીત નથી થઈ.’ MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત ભાગીદારી છે અને તે તાજેતરના સમયમાં વધુ મજબૂત બની છે. તેમણે કહ્યું કે, ‘અમેરિકા સાથે મળીને અમે 21મી સદીની ભારત-અમેરિકન કોમ્પેક્ટ પાર્ટનરશીપ બનાવી છે, જે સંબંધોને વધુ વેગ આપશે.’
જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી F-35 જેટનો પ્રશ્ન છે, ત્યાં સંબંધિત મંત્રાલય જ યોગ્ય જવાબ આપી શકશે. તેમણે ઈરાન સાથે વેપાર કરતી ભારતીય કંપનીઓ પર અમેરિકાના પ્રતિબંધ અંગે પણ કહ્યું કે ભારતે આ પ્રતિબંધોની નોંધ લીધી છે અને તેના પર વિચાર ચાલી રહ્યો છે.
સંરક્ષણ ક્ષેત્રે ભાગીદારી અંગે તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ મજબૂત છે અને અનેક પડકારો છતાં તે ભવિષ્યમાં પણ યથાવત રહેશે. ટેરિફ મુદ્દે તેમણે કહ્યું કે તેના જવાબ માટે વ્હાઈટ હાઉસનો સંપર્ક કરવો યોગ્ય રહેશે.

Leave a Reply