સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક

સુપ્રીમ કોર્ટે આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા તેમના નિવેદન બદલ કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે, “જો તમે સાચા ભારતીય હોત, તો આવા પ્રકારના નિવેદનો આપ્યા ન હોત.” સાથે જ લખનઉ કોર્ટમાં ચાલી રહેલી માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સામેની કાર્યવાહી પર તાત્કાલિક રોક મૂકી છે.

જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને પૂછ્યું કે, “તમે વિપક્ષ નેતા છો, તો પ્રશ્નો સંસદમાં ઉઠાવો. સોશિયલ મીડિયા પર આવા નિવેદનો કેમ આપ્યા? તમારી પાસે કોઈ વિશ્વસનીય પુરાવો છે?” કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફ્રીડમ ઓફ સ્પીચનો અર્થ એવો નથી કે તમે કંઈપણ કહી શકો.

રાહુલ ગાંધીએ વર્ષ 2022ની ભારત જોડો યાત્રા દરમિયાન નિવેદન આપ્યું હતું કે, “ચીનના સૈનિકો ભારતીય સૈનિકોને માર મારી રહ્યા છે.” આ નિવેદન બાદ માનહાનિનો કેસ દાખલ થયો. 29 મેના રોજ અલાહાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી, જેમાં તેમણે સમન્સના આદેશને પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, “લોકો તમને ભારત જોડો યાત્રા વિશે પૂછશે, ન કે ચીને ભારતની 2000 ચોરસ કિમી જમીન પર કબજો કર્યો તે વિશે. ભારતીય સેનાના બલિદાન વિશે કોઈ પૂછતાછ નથી કરી રહ્યું. ખોટી છબી ન ઉભી કરો કે લોકો અજાણ છે.”

Leave a Reply

Your email address will not be published.