ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ના સ્થાપક નેતા શિબુ સોરેનનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને દિલ્હીની શ્રી ગંગા રામ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સારવાર હેઠળ હતા. હોસ્પિટલ તરફથી જણાવાયું કે સોરેનનું નિધન સોમવાર સવારે 8:56 વાગ્યે થયું. કિડનીની ગંભીર સમસ્યાઓ અને દોઢ મહિના અગાઉ આવેલા સ્ટ્રોક બાદ તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા, પરંતુ ડૉક્ટરો તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શક્યા નહીં.
ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી અને તેમના પુત્ર હેમંત સોરેને એક્સ પર પોસ્ટ કરતાં જણાવ્યું, “આદરણીય દિશોમ ગુરુજી હવે આપણા વચ્ચે નથી. આજે હું શૂન્ય થઈ ગયો.”
શિબુ સોરેન, જેમને ઝારખંડમાં “ગુરુજી” તરીકે ઓળખવામાં આવતા, આદિવાસી હકો અને ઝારખંડના રાજ્ય હિત માટે જીવનભર લડ્યા. તેમણે ઝારખંડ મુક્તિ મોરચાની સ્થાપના કરી અને ઝારખંડ રાજ્યની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિબુ સોરેનના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે, “શિબુ સોરેન એક પાયાના નેતા હતા જેમણે લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે જાહેર જીવનમાં ઊંચાઈઓ હાંસલ કરી. તેઓ આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટે સમર્પિત રહ્યા. તેમના નિધનથી દુઃખી છું. મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઝારખંડના સીએમ હેમંત સોરેન સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. ઓમ શાંતિ.”
Leave a Reply