પાકિસ્તાન સાથે મેચ…. પ્રેસ કોન્ફરન્સમાં અગરકરને કરાયો સવાલ તો BCCIએ કરાવ્યા ચૂપ

Home » Latest Update » પાકિસ્તાન સાથે મેચ…. પ્રેસ કોન્ફરન્સમાં અગરકરને કરાયો સવાલ તો BCCIએ કરાવ્યા ચૂપ
પાકિસ્તાન-સાથે-મેચ….-પ્રેસ-કોન્ફરન્સમાં-અગરકરને-કરાયો-સવાલ-તો-bcciએ-કરાવ્યા-ચૂપ

Asia Cup 2025 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ‘એશિયા કપ-2025’ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર સાથે ચોંકવનારી ઘટના બની છે. વાસ્તવમાં પ્રેસ કોન્ફન્સ વખતે અગરકરને પાકિસ્તાન મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને તેઓ જવાબ આપવાની પણ તૈયારીમાં હતા, જોકે તેમને પાકિસ્તાન વિશે બોલતા અટકાવી દેવામાં આવ્યા હતા. મુંબઈમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે અગરકર પાકિસ્તાન મામલે કંઈક બોલવાની તૈયારીમાં હતા, ત્યારે બીસીસીઆઈના પ્રતિનિધિએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને અગરકરને અધવચ્ચે બોલતા ચૂપ કરી દીધા હતા.

ભારતે અગાઉ એશિયા કપમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો હતો

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતે પાકિસ્તાન સાથે તમામ સંબંધો તોડી નાખ્યા છે. ત્યારબાદ મે મહિનામાં મીડિયા રિપોર્ટમાં એવી વાત સામે આવી હતી કે, ભારત એશિયા કપમાં ભાગ નહીં લે અને તેની મેજબાની પણ નહીં કરે. જોકે પછી બીસીસીઆઈનું વલણ બદલાઈ અને ટુર્નામેન્ટ ન્યૂટ્રલ વેન્યૂ એટલે કે સંયુક્ત આરબ અમીરાતમાં શિફ્ટ કરવામાં આવી. પહલગામમાં હુમલો થયા બાદ દેશના અનેક પૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાન સાથે મેચ રમવાનો વિરોધ કર્યો છે.

પાકિસ્તાન સાથે મેચ.... પ્રેસ કોન્ફરન્સમાં અગરકરને કરાયો સવાલ તો BCCIએ કરાવ્યા ચૂપ 2 - image

કેદાર જાધવ, હરભજન પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવાના પક્ષમાં

કેદાર જાધવ અને હરભજન સિંહે બીસીસીઆઈને સલાહ આપી છે કે, પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ. હરભજને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સની મેચોમાં ભાગ લીધો હતો, ત્યારે પણ તે પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરનારા ખેલાડીઓમાં સામેલ હતો. જ્યારે કેદાર જાધવે એશિયા કપ-2025માં પાકિસ્તાન સાથેની મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.

જાધવે એએનઆઈને કહ્યું હતું કે, ‘ભારતીય ટીમે પાકિસ્તાન સામેની મેચ ન રમવી જોઈએ. મને વિશ્વાસ છે કે, ભારત નહીં રમે. ભારત-પાકિસ્તાન જ્યાં પણ મેચ રમશે, તેમાં ભારત જ જીતશે, પરંતુ આ મેચ ન રમાવી જોઈએ. હું દાવા સાથે કહું છું કે, મેચ નહીં રમાય.’

BCCIએ આજે કરી ભારતીય ટીમની જાહેરાત

બીસીસીઆઈ દ્વારા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરે એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટુર્નામેન્ટમાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવને કેપ્ટન તો શુભમન ગિલ વાઈસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા અને રિન્કુ સિંહનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો : એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યાને કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન

ગ્રૂપ સ્ટેજમાં ભારતની કુલ ત્રણ મેચ, પાકિસ્તાન સાથે 14મીએ ટકરાશે

યુએઈમાં 9મી સપ્ટેમ્બરથી એશિયા કપ-2025ની શરૂઆત થવાની છે. આ દરમિયાન પહેલા ગ્રૂપ સ્ટેજની મેચો રમાશે, ત્યારબાદ સુપર-4 સ્ટેજની અને પછી ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ ગ્રૂપ મેચોમાં કુલ ત્રણ મેચો રમશે, જેમાં ભારત-યુએઈ વચ્ચે દુબઈમાં 10 સપ્ટેમ્બરે મેચ રમાશે. ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં 14 સપ્ટેમ્બરે ખરાખરીને ખેલ રમાશે, પછી ભારત-ઓમાન વચ્ચે અબુ ધાબીમાં 19 સપ્ટેમ્બરે ટક્કર થશે. એશિયા કપમાં બંને ગ્રૂપમાં ટોપ પર રહેનારી બે-બે ટીમો સુપર-4 સ્ટેજમાં પહોંચશે, ત્યારબાદ સુપર-4 સ્ટેજની ટોપ-2 ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ મેચ રમાવાની સંભાવના

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે દુબઈમાં ટક્કર થશે. પહલગામમાં આતંકવાદી હુમલા બાદ બંને દેશો પહેલીવાર સામસામે ટકરાશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ મેચ રમાવાની સંભાવના છે. ગ્રૂપ સ્ટેજમાં બંને ટીમો વચ્ચે મેચ રમાવાનું ફાઈનલ થઈ ગયું છે. આ ઉપરાંત સુપર-4 અને ફાઈનલમાં પણ બંને ટીમો સામસામે આવી શકવાની સંભાવના છે.

આ પણ વાંચો : ચહલ અને શમી સહિત આ 5 ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં, ચાહકોએ કહ્યું- આ તો અન્યાય છે…

Leave a Reply

Your email address will not be published.