અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જ્યાં નિકોલ વિસ્તારમાં રહેતા દંપતિએ પોતાના નવજાત બાળકને સારવાર દરમિયાન ત્યજી દીધું હતું. હોસ્પિટલમાં કાચની પેટીમાં રાખીને તેનું ઈલાજ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ કમનસીબે બાળકનું મૃત્યુ થતાં આ બનાવે અરેરાટી મચાવી દીધી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દંપતિ પોતાના ચાર દિવસના બાળકને 16 ઓગસ્ટે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. બાળકની તબિયત વધુ બગડતાં ડૉક્ટરોએ તેને એન.આઈ.સી.યુ. વોર્ડની કાચની પેટીમાં રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ત્યારબાદ માતા-પિતા હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા અને ફરીથી ક્યારેય દેખાયા નહીં.
આ દરમિયાન, હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફ બાળકની સતત સારવાર કરતા રહ્યા. હોસ્પિટલ સત્તાધીશો બાળકને “બિનવારસી દર્દી” તરીકે જાહેર કરીને તેની સંભાળ રાખતા રહ્યા. પરંતુ 23 ઓગસ્ટે બાળકનું દુર્ભાગ્યે મોત થતા તંત્ર ચોંકી ગયું.
ડૉક્ટરોને નવાઈ લાગી કે એક સપ્તાહથી વધુ સમય દરમિયાન બાળકના વાલી એકવાર પણ હોસ્પિટલમાં મુલાકાતે આવ્યા નહોતા. આ બનાવની જાણ સિવિલ હોસ્પિટલ દ્વારા નિકોલ પોલીસને કરવામાં આવી. ત્યારબાદ નિકોલ પોલીસે બાળકને સાર સંભાળ ન રાખવાના ગુનામાં માતા-પિતા સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવે ફરીથી માનવતા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે કે માતા-પિતા પોતાના માસૂમને જીવનમૃત્યુની લડાઈ વચ્ચે એકલો છોડી કેવી રીતે જઈ શકે?

Leave a Reply