પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કડક પ્રહાર કર્યા છે. પૂર્વ બર્ધમાનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં મમતાએ વડાપ્રધાનની તાજેતરની ટિપ્પણીનો ઉલ્લેખ કરીને કહ્યું: “મને ક્યારેય અપેક્ષા નહોતી કે વડાપ્રધાન પોતાની ખુરશીનો અપમાન કરશે અને રાજ્યના લોકોને ‘ચોર’ કહીને સમગ્ર બંગાળનું અપમાન કરશે.”
મમતાએ ભારપૂર્વક જણાવ્યું: “હું તેમની ખુરશીનું સન્માન કરું છું, તો તેમને પણ મારી ખુરશીનું સન્માન કરવું જોઈએ.”
તેમણે આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકારે રાજ્યને ફાળવાતું ફંડ અટકાવી દીધું છે, જેના કારણે રાજ્યના ખજાના પર ભારે ભાર પડ્યો છે. મમતાએ કહ્યું: “કેન્દ્રને બધા જવાબો આપ્યા છતાં ફંડ રોકી દેવાયું છે.”
વડાપ્રધાન પર સીધો આરોપ મૂકતાં તેમણે કહ્યું: “તેઓ માત્ર ચૂંટણી સમયે જ બંગાળમાં આવે છે, બાકી સમયે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારની ડબલ એન્જિન સરકારોમાં થતા ભ્રષ્ટાચાર પર આંખ આડા કાન કરે છે.”
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં કોલકાતામાં યોજાયેલી જનસભામાં મમતાને નિશાન બનાવીને આક્ષેપ કર્યો હતો: “ભ્રષ્ટાચાર, ગુના અને તૃણમૂલ કોંગ્રેસ એકબીજાના પર્યાય છે. કેન્દ્ર આપતું ફંડ લોકો સુધી પહોંચતું નથી, પરંતુ TMCના કાર્યકરો ગળી જાય છે.”
મમતાએ વડાપ્રધાનના આક્ષેપોને નકારીને કહ્યું: “ભ્રષ્ટાચારની તપાસ માટે કેન્દ્રએ 186 ટીમો મોકલી હતી, પણ તેમને કંઈ મળ્યું નથી. જેમ વિદ્યાર્થી બધા પ્રશ્નોના જવાબ આપે છતાં શૂન્ય માર્કસ અપાય, તેમ આ વર્તન છે. અમે આ અપમાન સહન નહીં કરીએ.”

Leave a Reply