જમ્મુ-કાશ્મીરના કટરામાં અર્ધકુમારી પાસે માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભારે વરસાદને કારણે ભયંકર ભૂસ્ખલન થયું, જેમાં અત્યાર સુધીમાં 36 લોકોના મોતની જાણ થઈ છે અને અનેક લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે, કારણ કે ઘણાં લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે.
હવામાનની અસરને પગલે અત્યાર સુધીમાં 3,500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કટરાથી ડોડા સુધી અનેક પુલ, વીજળીના થાંભલા અને મોબાઇલ ટાવર્સને નુકસાન પહોંચ્યું છે. ગુરુવારે જમ્મુ-કાશ્મીરની તમામ સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી હતી.
ભારતીય વાયુસેનાએ બચાવ કામગીરી માટે છ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે, જેમાં પાંચ Mi-17 અને એક ચિનૂક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. ગુરદાસપુરના ડેરા બાબા નાનકથી 38 સેનાના જવાન અને 10 બીએસએફ જવાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. પઠાણકોટથી 46 નાગરિકોને હેલિકોપ્ટર મારફતે બચાવવામાં આવ્યા, જ્યારે 750 કિલો રાહત સામગ્રી હવાઈ માર્ગે પહોંચાડવામાં આવી.
જમ્મુના અખનૂર, આરએસપુરા, સાંબા, નગરોટા, કોટ ભલવાલ, બિશ્નાહ, વિજયપુર, પુર્મંડલ, કઠુઆ, રિયાસી, રામબન, ડોડા, બિલાવર, કટરા, રામનગર, હીરાનગર, ગુલ અને બનિહાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનની શક્યતા છે. ખાસ કરીને જમ્મુમાં છેલ્લા 24 કલાકમાં 296.0 મિમી વરસાદ નોંધાયો છે, જે 1973ના રેકોર્ડને તોડ્યો છે, જ્યારે ઉધમપુરમાં 629.4 મિમી વરસાદ નોંધાયો છે, જે 2019ના રેકોર્ડની સરખામણીમાં લગભગ બમણો છે.
NDRF, સ્થાનિક પોલીસ અને વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો દિવસ-રાત બચાવ કામગીરીમાં તત્પર છે. ભારતીય વાયુસેનાના C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા ફસાયેલા વિસ્તારોમાં પીવાનું પાણી અને ભોજનના પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે.

Leave a Reply