મિઝોરમ વિધાનસભાએ 27મી ઓગસ્ટે ‘મિઝોરમ પ્રોહિબિશન ઓફ બેગરી બિલ 2025’ પાસ કર્યું, જેના હેઠળ રાજ્યમાં ભિખ માગવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ કાયદાનો મુખ્ય હેતુ ભિખારીઓને માત્ર રોકવાનું જ નહીં, પરંતુ તેમને મદદ, રોજગાર અને પુનર્વસન દ્વારા સમાજમાં સ્થિર બનાવવાનો છે.
સરકાર બિલ અંતર્ગત એક રાહત બોર્ડ રચશે અને એક રિસીવિંગ સેન્ટર સ્થાપિત કરશે, જ્યાં ભિખારીઓને અસ્થાયી રીતે રાખીને 24 કલાકમાં તેમના રાજ્ય કે ઘરે પાછા મોકલાશે. સમાજ કલ્યાણ વિભાગના સર્વે મુજબ હાલ આઈઝોલમાં 30થી વધુ ભિખારીઓ છે, જેમાંથી મોટાભાગે બહારથી આવ્યા છે.
સમાજ કલ્યાણ મંત્રી લાલરિનપુઈએ જણાવ્યું હતું કે, મિઝોરમમાં હાલ ભિખારીઓની સંખ્યા ઓછી છે કારણ કે રાજ્યમાં મજબૂત સામાજિક માળખું, ચર્ચ અને NGOની મદદ તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓ છે. તેમ છતાં, ટૂંક સમયમાં શરૂ થનારી સાઈરાંગ-સિહમુ રેલવે લાઈનને કારણે બહારથી ભિખારીઓ આવવાનો ભય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી સપ્ટેમ્બરે આ રેલવે લાઈનનું ઉદ્ઘાટન કરશે.
વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો હતો. મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) નેતા લાલચંદમા રાલ્ટેએ કહ્યું કે આ કાયદો રાજ્યની છબીને કલંકિત કરશે અને ખ્રિસ્તી ધર્મના મૂલ્યોને વિરુદ્ધ છે. તેમણે સમાજ અને ચર્ચની સંડોવણીને મજબૂત કરવાની સલાહ આપી.
મુખ્યમંત્રી લાલદુહોમાએ સ્પષ્ટ કર્યું કે આ કાયદાનો હેતુ ભિખારીઓને સજા કરવાનો નથી, પરંતુ ચર્ચ, NGO અને સરકારની સહાયથી તેમનું પુનર્વસન કરવાનું છે, જેથી મિઝોરમને ભિખારી મુક્ત રાજ્ય બનાવવામાં આવે.

Leave a Reply