જાપાન અને ચીનના પ્રવાસે વડાપ્રધાન મોદી: વ્યૂહાત્મક ભાગીદારી અને SCO સમિટ પર ધ્યાન

જાપાન અને ચીનના પ્રવાસે વડાપ્રધાન મોદી: વ્યૂહાત્મક ભાગીદારી અને SCO સમિટ પર ધ્યાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન જવા પૂર્વે જાપાન પહોંચ્યા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન 28 ઓગસ્ટે જાપાન અને ચીનની મહત્વપૂર્ણ મુલાકાત માટે રવાના થયા હતા.

જાપાન મુલાકાત અંગે મોદીએ જણાવ્યું કે આ પ્રવાસ ભારતના હિતોને મજબૂત બનાવશે અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક સ્તરે શાંતિ, સ્થિરતા અને પરસ્પર સહયોગ વધારવામાં મદદરૂપ થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જાપાન સાથેની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ ઊંચાઈ પર લઈ જવામાં આ મુલાકાત મહત્વપૂર્ણ સાબિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 ઓગસ્ટે જાપાનમાં રહેશે અને તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે શિખર સંમેલન કરશે. ચર્ચાનો મુખ્ય ફોકસ આર્થિક સહકાર, રોકાણના અવસરો, તેમજ AI અને સેમિકન્ડક્ટર ટેક્નોલોજીમાં ભાગીદારી વધારવા પર રહેશે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હેતુ પણ છે.

જાપાનની મુલાકાત પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે ચીનના તિયાનજિન શહેર જશે, જ્યાં તેઓ SCO શિખર સંમેલનમાં ભાગ લેશે. મોદીએ જણાવ્યું કે ભારત SCO દેશો સાથે મળીને સામાન્ય પડકારોને હલ કરવા માટે પ્રતિબદ્ધ છે અને પ્રાદેશિક સહકાર વધારવા માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે ભારતના કાર્યકાળ દરમિયાન SCOમાં ઇનોવેશન, હેલ્થ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન જેવા ક્ષેત્રોમાં નવી પહેલ કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published.