ઉત્તરાખંડમાં અવિરત વરસાદે હાહાકાર મચાવ્યો છે. ચમોલી, રુદ્રપ્રયાગ અને ટિહરી જિલ્લાઓમાં મોડી રાતથી ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. રુદ્રપ્રયાગ જિલ્લાના બાસુકેદાર વિસ્તારમાં વાદળ ફાટતાં ભારે તબાહી સર્જાઈ છે.
અહેવાલ મુજબ, આ જળપ્રલયમાં અનેક વાહનો વહી ગયા છે અને છ લોકો ગુમ થયા હોવાનું જાણવા મળે છે. ચમોલી જિલ્લામાં થયેલા ભૂસ્ખલનથી અનેક ઘરો ધસી પડ્યા છે. મોપાટા ગામમાં એક ઘર અને ગૌશાળામાં રહેલા દંપતી ભૂસ્ખલનથી દબાઈ જવાને કારણે ગુમ થયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સંદીપ તિવારીએ જણાવ્યું કે સ્થાનિક પ્રશાસન તાત્કાલિક રાહત કામગીરીમાં લાગ્યું છે.
વાદળ ફાટવાથી ગૌરીકુંડ-રુદ્રપ્રયાગ-ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અનેક જગ્યાએ અવરોધિત થયો છે, જ્યારે અલકનંદા અને મંદાકિની નદીઓનું પાણી ભયજનક સ્તરે વધી રહ્યું છે. રસ્તાઓ પર કાટમાળ ફેલાઈ જવાથી ઘણા વાહનો ફસાઈ ગયા છે અને અનેક પરિવારોને સ્થળાંતર કરવું પડ્યું છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ‘રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હું અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું અને અસરકારક કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપી છે.’ તેમણે પ્રાર્થના વ્યક્ત કરતાં કહ્યું કે દરેક વ્યક્તિ સુરક્ષિત રહે.

Leave a Reply