વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસીય જાપાન યાત્રા પૂર્ણ કર્યા પછી ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા છે, જ્યાં તેઓ શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેશે. તિયાનજિન એરપોર્ટ પર તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું.
મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ચીનના તિયાનજિનમાં પહોંચી ગયો છું. SCO શિખર સંમેલનમાં વિચારવિમર્શ કરવા અને વિવિધ વિશ્વ નેતાઓ સાથે મુલાકાત કરવા ઉત્સુક છું.”
આ સમિટમાં ભાગ લેતા મુખ્ય નેતાઓમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ, ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડાર, તૂર્કિયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમનો સમાવેશ થાય છે. યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને અન્ય નવ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખો પણ હાજરી આપશે.
ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઇહોંગે અગાઉ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની આ મુલાકાત માત્ર SCO સમિટ માટે જ નહીં, પરંતુ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. ચીન સરકારે આ મુલાકાતને સફળ બનાવવા માટે ખાસ તૈયારી કરી છે.

Leave a Reply