ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્રતા મળી, પરંતુ સાથે જ દેશને ભાગલાનો કદી ન ભરાય એવો ઘા પણ મળ્યો. આ ભાગલા દરમિયાન થયેલી હિંસા, લૂંટફાટ અને હત્યાઓએ કરોડો લોકોને અસર કરી અને તેમનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું. વિદ્યાર્થીઓ સુધી આ પીડા પહોંચાડવા માટે NCERTએ 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક ખાસ અભ્યાસક્રમ બહાર પાડ્યો છે, જેમાં ભારતના વિભાજન માટે જવાબદાર વ્યક્તિઓ અને પરિસ્થિતિઓની ચર્ચા કરવામાં આવી છે.
આ મોડ્યુલમાં NCERTએ ત્રણ મોટા નામોને ભાગલા માટે જવાબદાર ગણાવ્યાં છે: મોહમ્મદ અલી ઝીણા, કોંગ્રેસ અને લોર્ડ માઉન્ટબેટન. અભ્યાસક્રમ અનુસાર, ઝીણાની પાકિસ્તાન બનાવવાની જીદ સામે કોંગ્રેસે ઝૂકી જવાનું સ્વીકાર્યું અને ત્યારબાદ માઉન્ટબેટને ઉતાવળમાં ભાગલાની પ્રક્રિયા પૂર્ણ કરી. લોર્ડ માઉન્ટબેટને આઝાદીની તારીખ જૂન 1948માંથી બદલીને 15 ઓગસ્ટ, 1947 કરી, જેના કારણે ભાગલા દરમિયાન ગડબડ સર્જાઈ અને લાખો લોકો હિંસાનો ભોગ બન્યા.
મોડ્યુલમાં આ પ્રશ્ન પર પણ ચર્ચા કરવામાં આવી છે કે શું ભારતના ભાગલા જરૂરી હતા? NCERT જણાવે છે કે તે પરિસ્થિતિમાં ભાગલા જરૂરી ન હતા, પરંતુ ખોટા વિચારો અને સંજોગોને કારણે દેશનું વિભાજન થયું. મહાત્મા ગાંધીએ આ ભાગલાનો વિરોધ કર્યો હતો, પરંતુ ઝીણાની જીદ અને કોંગ્રેસના નિર્ણયને કારણે આ દુર્ઘટના ટાળી શકાઈ નહીં.

Leave a Reply