પંચમહાલ જિલ્લાના શહેરા નજીક શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં એક અનોખી ઘટના સામે આવી છે. મરડેશ્વર મહાદેવ મંદિરની નજીક આવેલી એક જમીનમાંથી અચાનક શિવલિંગ પ્રગટ થતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો છે. ઝાડીઓ વચ્ચે શિવલિંગ દેખાતાં જમીન માલિક અને આસપાસના લોકોએ તરત જ તેની જાણ કરી અને પૂજા-અર્ચના શરૂ કરી.
આ ઘટના વાયુવેગે શહેરા તેમજ આસપાસના વિસ્તારોમાં ફેલાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ સ્થળે ઉમટી પડ્યા છે. લોકો ભક્તિભાવથી શિવલિંગની પૂજા કરી રહ્યા છે અને ભજનો ગાઈ રહ્યા છે. સ્થાનિક પ્રશાસન અને મંદિર સમિતિ દ્વારા સ્થળ પર દેખરેખની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈ ગેરવ્યવસ્થા ન થાય.
સ્થાનિક લોકોએ માન્યું છે કે આ શિવલિંગ પ્રાચીન મરડેશ્વર મહાદેવ મંદિરના વિસ્તૃત પરિસરનો જ એક ભાગ હોઈ શકે છે. વર્ષો પહેલાં આ વિસ્તારમાં અનેક નાનાં-મોટાં શિવમંદિરો અસ્તિત્વમાં હતા, જે સમય સાથે ધરતીમાં સમાઈ ગયા હશે. શિવલિંગનું પ્રગટ થવું પ્રાચીન ધાર્મિક અવશેષોના પુનઃપ્રકટન સમાન માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply