પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-II) અને દ્વારકા એક્સપ્રેસવેના દિલ્હી વિભાગનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, દિલ્હીને વિકાસનું મોડેલ બનાવવું જરૂરી છે જેથી તે વિશ્વમાં ભારતની રાજધાની તરીકે ઓળખાય.
મોદીએ જણાવ્યું કે અગાઉની સરકારોએ સફાઈકર્મીઓને ગુલામ સમાન ગણ્યા હતા.
તેમણે દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટનો ઉલ્લેખ કર્યો, જેમાં એક ખતરનાક કાયદો હતો, જેમાં સફાઈમિત્ર જાણ કર્યા વિના ગેરહાજર રહે તો તેને એક મહિનાની જેલ થઈ શકતી હતી. મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ સરકારે આવા અનેક ખોટા કાયદાઓ દૂર કર્યા છે અને આ અભિયાન ચાલુ રહેશે.
તેમણે દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તાના કાર્યોની પ્રશંસા કરી અને જણાવ્યું કે યમુના નદીની સફાઈમાં 16 લાખ મેટ્રિક ટન કાંપ દૂર કરવામાં આવ્યો છે. સાથે જ દિલ્હી-NCRમાં 650 DEVI ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી છે, જે ભવિષ્યમાં 2000 સુધી પહોંચી જશે. મોદીએ જણાવ્યું કે આ પ્રયાસો ‘ગ્રીન દિલ્હી-ક્લીન દિલ્હી’ના મંત્રને મજબૂત બનાવશે.
અગાઉની સરકારો પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે તેમણે દિલ્હીને બરબાદ કરી હતી, પરંતુ વર્તમાન ભાજપ સરકાર દાયકાઓની સમસ્યાઓ ઉકેલવા પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની સરકાર હોવાથી વિકાસ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે.
મોદીએ ભાર મૂક્યો કે ભાજપ સરકાર માટે રિફોર્મનો અર્થ સુશાસનનો વિસ્તાર છે.
દિવાળીથી GSTમાં ‘નેક્સ્ટ જનરેશન રિફોર્મ’ લાગુ થશે, જેનાથી ટેક્સ સિસ્ટમ સરળ બનશે અને લોકો, ઉદ્યોગપતિઓ તથા વેપારીઓને લાભ મળશે. મોદીએ જણાવ્યું કે આ સુધારાથી દરેક પરિવારને ‘ડબલ બોનસ’ મળશે.

Leave a Reply