3 ઈડિયટ્સના પ્રોફેસરની અંતિમ વિદાય: દિગ્ગજ એક્ટર અચ્યુત પોતદારનું 91 વર્ષની ઉંમરે નિધન

3 ઈડિયટ્સના પ્રોફેસરની અંતિમ વિદાય: દિગ્ગજ એક્ટર અચ્યુત પોતદારનું 91 વર્ષની ઉંમરે નિધન

બોલિવૂડ માટે દુઃખદ ક્ષણ છે કારણ કે ‘3 ઈડિયટ્સ’ ફિલ્મમાં યાદગાર પ્રોફેસરનો રોલ ભજવનાર દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદારનું 91 વર્ષની ઉંમરે નિધન થયું છે. અભિનેતા લાંબા સમયથી ઉંમરજન્ય તકલીફોથી પીડાઈ રહ્યા હતા. ગઈકાલે અચાનક બેભાન થતાં તેમને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. તેમની દીકરી અનુરાધા પારસ્કરે જણાવ્યું કે તેમના અંતિમ સંસ્કાર આજે એટલે કે 19 ઓગસ્ટે સાંજે 4 વાગ્યે થાણેમાં કરવામાં આવશે.

22 ઓગસ્ટે જન્મદિવસ મનાવાનાં હતા એવા અચ્યુત પોતદારનો જન્મ 1934માં મધ્ય પ્રદેશના જબલપુરમાં થયો હતો. તેમનું બાળપણ ઈન્દોરમાં વિત્યું હતું અને તેમણે અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે ફિલ્મી દુનિયામાં પગ મૂકતા પહેલાં ભારતીય સશસ્ત્ર દળો અને ઈન્ડિયન ઓઈલ કંપનીમાં પણ સેવા આપી હતી. મહત્વનું એ છે કે તેમણે પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત 45 વર્ષની ઉંમરે કરી હતી.

તેમણે પોતાના કારકિર્દી દરમ્યાન 125થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં, 95થી વધુ ટીવી શો, 26 નાટકો અને 45થી વધુ જાહેરાતોમાં કામ કર્યું છે. ‘આક્રોશ’, ‘લગે રહો મુન્ના ભાઈ’, ‘દબંગ 2’, ‘અર્ધ સત્ય’, ‘વાસ્તવ’, ‘હમ સાથ સાથ હૈં’, ‘પરીણીતા’ જેવી અનેક ફિલ્મોમાં તેમના અભિનયની પ્રશંસા થઈ છે.

ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં તેઓનું સંવાદ “અરે, કહેના ક્યા ચાહતે હો?” ઘણું લોકપ્રિય બન્યું હતું અને આ સંવાદ પર અનેક મીમ્સ પણ બની ચૂક્યા છે. લોકો આજે પણ આ ડાયલોગને સોશિયલ મીડિયામાં ખુબ માણે છે. બોલિવૂડ અને ટેલિવિઝન દુનિયા માટે અચ્યુત પોતદારનું અવસાન એક મોટી ખોટ છે. તેઓ સતત યાદ રાખાશે તેમના સાદા પરંતુ અસરકારક અભિનય માટે.

Leave a Reply

Your email address will not be published.